રાત્રે રેસ્ટોરાથી ગ્રાહક બહાર ન નીકળતા પોલીસ બોલાવી
વસ્ત્રાપુર વિસ્તારમાં ગજબનો કિસ્સો : શહેરમાં કર્ફ્યુનો અમલ શરૂ થઇ જતા પોલીસ પકડશે તેવા ડરથી રેન્ટોરેન્ટમાં જ રાત રોકવવાનું નક્કી કર્યું હતું
અમદાવાદ,તા.૧૭ : અમદાવાદ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં ગજબનો કિસ્સો સામે આવ્યો છે. વાસી ઉતરાયણના દિવસે પીઝા ખાવા માટે ગયેલા ગ્રાહકો કરફયૂમાં પોલીસ પકડશે તેવા ડરથી રેસ્ટોરેન્ટમાં જ રાત રોકાવાનું નક્કી કર્યું. અંતે મેનેજરે પોલીસ બોલાવવી પડી. રાત્રે કર્ફ્યુનો અમલ શરૂ થઇ જતા યુએસ પિઝામાં બે મહિલા સહિત પાંચ ગ્રાહકો ત્રણ કલાક સુધી રેસ્ટોરન્ટમાં આવ્યા હતા. પકવાન ચાર રસ્તા પાસે આવેલા યુએસ પિઝા રેસ્ટોરન્ટમાં વાસી ઉત્તરાયણના દિવસે રાત્રે સાડા આઠ વાગ્યાની આસપાસ બે મહિલા સહિત પાંચ ગ્રાહકો પીઝા ખાવા માટે આવ્યા હતા.
જોકે જમીને પરત જતા લગભગ સવા દસ જેટલો સમય થઈ ગયો હતો અને રેસ્ટોરન્ટમાંથી નીચે જોતાં સર્વિસ રોડ પર પોલીસની ગાડી આવતા જતા રાહદારીઓની પૂછપરછ કરતી હતી. જેથી તેમને ડર હતો કે, જો તેઓ નીચે ઉતરશે તો પોલીસ તેની સામે કાર્યવાહી કરશે. મેનેજરે પણ તેઓને કહ્યું હતું કે, થોડીવાર રોકાઈને પોલીસની ગાડી નીકળે એટલે નીકળી જવા માટે કહ્યું હતું. પરંતુ લાંબા સમય સુધી પોલીસની ગાડી ત્યાં જ હોવાથી તેઓ નીકળી શક્યા ન હતા. અને બાદમાં મોડું થઈ જતાં ક્યાંકને ક્યાંક પોલીસ પકડશે તેવા ડરથી તેમને રેસ્ટોરન્ટમાં જ રોકાવાનું નક્કી કર્યું હતું. જોકે મેનેજરના કહેવા બાદ પણ તેઓ રેસ્ટોરન્ટમાંથી બહાર ન નીકળતા અંતે મેનેજરે માલિકને જાણ કરી હતી અને માલિકે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ રેસ્ટોરન્ટ પર પહોંચી હતી. જ્યાં પોલીસે પાંચ ગ્રાહકો આકાશ ઝાલા, શનિ વછેટા, હર્ષ ઝાલા , હિમાલી ચાવડા, ખુશ્બુ પટેલ અને રેસ્ટોરન્ટ મેનેજર ઉત્તમ સિંહ પરમાર વિરુદ્ધ ગુનો દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.