ગુજરાત
News of Sunday, 17th January 2021

સુરતમાં મોર્નિંગ વોક પર નીકળેલી પરિણીતાનું અકસ્માતથી મોત

વીમો પકવવા પતિએ હત્યા કરાવી : પીયરપક્ષ : પતિ, નણંદ નિરુ ઉર્ફે પૂજાએ પોલિસી ક્લેમ કરવા માટે કાવતરું રચીને હત્યા કરી નાખી હોવાનો ગંભીર આક્ષેપ

સુરત, તા. ૧૭  :પુણા કુંભારીયા રોડ પર કાર અડફેટે મહિલાનાં મોત મામલે ચોકાવનારો આક્ષેપ થયો હતો. મોર્નિંગ વોક પર નીકળેલી મહિલાનું કારની અડફેટે મોત નીપજ્યું હતું. આ ઘટના મામલે પતિએ પોલીસમાં અજાણ્યા કાર ચાલકે અડફેટે લીધી હોવાનું જણાવ્યું હતું. તો આ મામલે મહિલાના પિયરવાળાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, શાલિનીના નામે ૧૫ લાખ રૂપિયાનો વીમો હતો. જેને પકડવવા માટે પતિ અને નણંદ દ્વારા હત્યા કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, કુંભારિયા ગામની સારથી રેસીડેન્સીમાં રહેતા અનુજ યાદવે પોતાના નિવેદનમાં લખાવ્યું છે કે, ૮મી જાન્યુઆરીના રોજ તે પત્ની શાલિની સાથે સવારે ૫ વાગ્યે મોર્નિંગ વોક પર નીકળ્યો હતો અને કાર ચાલકે શાલિનીને અડફેટે લીધી હતી. શાલિનીના પિતાએ જણાવ્યું હતું કે, ફેબ્રુઆરી ૨૦૧૭માં શાલિનીના લગ્નના થયા હતા અને ત્રણ-ચાર મહિના પછી જ તેને પરેશાન કરવાનું શરૂ કર્યું હતું. અનુજની બહેન પૂજા ઉર્ફે નિરુ પણ હેરાનગતિ કરતી હતી આ કારણોસર હું મારી પુત્રીને માતૃભૂમિ ઘરે લાવ્યો હતો પરંતુ એક મહિનામાં પાછી મોકલી હતી. વર્ષ ૨૦૧૮માં ૫ લાખ રૂપિયા માંગવામાં આવ્યા હતા. તો મેં ૨ લાખ રૂપિયા આપ્યા હતા. બટાકાનો પાક તૈયાર થતાંની સાથે ૩ લાખ આપવાનું વચન આપ્યું હતું. દીકરી સાથે ફોન પણ રાખ્યો ન હતો. હત્યાની શંકા એટલા માટે છે કે આ બધા લોકો સવારે ૧૦ વાગ્યે જાગવાવાળું પરિવાર છે અને સવારે જબરજસ્તી વોક પર લઈ જવાનું શુ કારણ હોય શકે.

તમને જણાવી દઈએ કે, પુણા કુંભરીયા રોડ પર આવેલી રઘુવીર સિલિયમ નજીકના સર્વીસ રોડ પર ૨૧ વર્ષય શાલિનીને કારે અડફેટે લેતી સારવાર અર્થે ખસેડવામાં આવી હતી અને ફરજ પર હાજર તબીબો દ્વારા શાલિનીને મૃત જાહેર કરી હતી. આ મામલે શાલિનીના પરિવાર દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે, શાલિનીની હત્યા કરવામાં આવી છે અને અકસ્માતમાં ખપાવાનો પ્રયાસ પતિ દ્વારા કરવામાં આવી રહ્યો છે. શાલિનીના પિતા અનુસાર, કુંભારિયા ગામની સારથી રેસીડેન્સીમાં રહેતા અનુજ યાદવે પોતાના નિવેદનમાં લખાવ્યું છે કે, ૮મી જાન્યુઆરીના રોજ તે પત્ની શાલિની સાથે સવારે ૫ વાગ્યે મોર્નિંગ વોક પર નીકળ્યો હતો અને કાર ચાલકે શાલિનીને અડફેટે લીધી હતી.

શાલિનીના પિતાએ એવો પણ આક્ષેપ કર્યો છે કે, અનુજના પિતાના નામમાં પણ ગડબડ છે, તેમનું અસલી નામ સોહનસિંઘ મોહબતસિંઘ યાદવ છે, પરંતુ વતનથી સુરતમાં આવ્યા બાદ તેમણે સોહનસિંઘ જનકસિંઘ યાદવ કરી નાખ્યું છે. તેમનું વતનમાં પોતાની પ્રોપર્ટીમાં સોહનસિંઘ મોહબત નામ ચાલી રહ્યું છે મતલબ કંઈ તો ગડબડ છે. પરિણીતા પરિવારના આક્ષેપ અનુસાર, સોહનસિંઘ જીવતા હોવા છતા ગામના સરપંચને ડેથ સર્ટી આપવા કહ્યું હતું કારણ કે, તેમના નામે ૭૦ લાખની વીમા પોલિસી છે. જેમાં નોર્મલ ડેથમાં ૭૦ લાખ મળશે અને એક્સિડેન્ટલ ડેથમાં દોઢ કરોડનો વીમા પોલિસી લીધી છે.

હાલમાં પુણા પોલીસે મૃતક મહિલાના પતિની ફરિયાદ મુજબ અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. પરંતુ હવે પિતાના આક્ષેપો બાદ આ ઘટનામાં પુણા પોલીસની તપાસ સામે પણ શંકાની સોય ઉભી થઇ રહી છે. હવે પ્રશ્ન એ છે કે, શાલીનીના મોતનું કારણ અકસ્માત છે કે પછી વીમા પોલિસી ક્લેમ કરવા માટે હત્યા કરવામાં આવી છે?

એકબાજુ પતિએ પોલીસને કહ્યું કે, અજાણ્યા વાહનની ટક્કરને કારણે આ અકસ્માત થયો હતો. બીજીબાજુ, શાલિનીના પરિવારના સભ્યો હત્યાનો આરોપ લગાવી રહ્યા છે કે, શાલિનીના નામે લાખો રૂપિયાનો વીમો હતો, જેથી પતિ નણંદ નિરુ ઉર્ફે પૂજાએ પોલિસી ક્લેમ કરવા માટે ભાઈ-બેહને કાવતરું રચીને હત્યા કરી નાખી છે. હવે પોલીસ આ દિશામાં કોઈ તપાસ હાથ ધરે છે કે, કેમ તે જોવાનું રહ્યું.

(9:42 pm IST)