ગુજરાત
News of Sunday, 17th January 2021

સુરતથી કોલકાતા જતા પ્લેનનું ઇમરજન્સી લેન્ડિંગ

એન્જીનમાંથી અવાજ આવતા લેન્ડિંગ

સુરત, તા. ૧૭ : જી સુરતથી કોલકાતા જઈ રહેલા ઇન્ડિગોની ફ્લાઇટનું ભોપાલના રાજા ભોજ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. ૧૭૨ યાત્રીઓને લઈ જઈ રહેલા આ વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાઇ હતી. વિમાન જ્યારે હવામાં હતું ત્યારે પાયલટને એન્જીનમાંથી અજીબ અવાજ સાંભળવા મળ્યો હતો અને ધુમાડો ઉડતો હોય તેમ લાગ્યું હતું. આ પછી ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. બધા યાત્રીઓને વૈકલ્પિક વ્યવસ્થા કરીને રવાના કરવામાં આવ્યા હતા.

જાણકારી પ્રમાણે રવિવારે સવારે ઇન્ડિગોના વિમાને સુરતથી કોલકાતા માટે ઉડાણ ભરી હતી. રસ્તામાં વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. ભોપાલ એરપોર્ટ નજીક હોવાના કારણે પાયલટે ભોપાલે એર ટ્રાફિક કંટ્રોલ (છ્ઝ્ર)સાથે વાત કરી હતી. આ પછી વિમાનને રાજા ભોજ એરપોર્ટ પર ઉતારવાની મંજૂરી આપવામાં આવી હતી. આ પછી વિમાન ભોપાલમાં ઉતારવામાં આવ્યું હતું.

વિમાનના ઇમરજન્સી લેન્ડિંગ પછી યાત્રીઓને કહેવામાં આવ્યું હતું કે તમારે થોડાક સમય માટે રાહ જોવી પડશે કારણ કે વિમાનમાં ટેકનિકલી ખામી સર્જાઇ છે. પાર્કિંગમાં વિશેષજ્ઞ એન્જીનિયરો દ્વારા વિમાનની ટેકનીકલી ખામી દૂર કરવાનો પ્રયત્ન કર્યો હતો.

(9:44 pm IST)