ગુજરાત
News of Monday, 17th January 2022

રાજ્યના 15થી 18 વર્ષના 60 ટકા તરૂણોને કોરોના રસીના ડોઝ આપીને ગુજરાત સમગ્ર દેશમાં મોખરે

16 ટકા જેટલા હેલ્થ કેર અને ફ્રન્ટલાઈનવર્કર્સને પ્રિકોશન ડોઝ પણ આપ્યા

અમદાવાદ : રાજયમાં તાજેતરમાં જ 15 થી 18ના તરુણો માટે શરૂ થયેલ રસીકરણની કામગીરીમાં પણ 60 ટકા તરૂણોને કોરોનાની રસી આપીને ગુજરાત સમગ્ર દેશમાં મોખરે રહ્યું છે. સાથોસાથ 16 ટકા જેટલા હેલ્થ કેર અને ફ્રન્ટલાઈનવર્કર્સને પ્રિકોશન ડોઝ પણ આપવામાં આવ્યા છે ગુજરાતમાં એક વર્ષમાં 9.46 કરોડ વેક્સિનનના ડોઝ લગાવવામાં આવ્યા છે. જેમાંથી 97.5 ટકા પ્રથમ ડોઝ, જ્યારે 95 % જેટલા નાગરિકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે

આજથી એક વર્ષ પહેલાં 16 જાન્યુઆરી 2021ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આરંભાયેલા દેશ વ્યાપી કોરોના રસીકરણ મહાઅભિયાનને આજે એક વર્ષ પૂર્ણ થયું.

આ એક વર્ષ દરમિયાન ગુજરાતમાં રસીકરણની શું સ્થિતિ છે તે અંગે રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેષ પટેલે જણાવ્યું કે, સાડા છ કરોડ ગુજરાતીઓ વતી ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો અંતઃકરણપૂર્વક આભાર માન્યો. આ એક વર્ષમાં દેશભરના કોરોના વોરિયર્સ , ફ્રન્ટલાઈન વોરિયર્સ 60 થી વધુ વયના વયસ્કો અને હવે 15 થી 18 ની વયના તરુણોએ કોરોનાની રસીના ડોઝ લગાવીને કોરોના સામે સુરક્ષા કવચ ધારણ કર્યું છે.

વળી કોરોનાની ત્રીજી લ્હેર પણ જ્યારે જોર પકડ્યું છે ત્યારે તાજેતરમાં જ છ દિવસ અગાઉ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશભરમાં વયસ્કો કોરોના અને ફ્રન્ટલાઈન વોરિયર્સને બુસ્ટર ડોઝ ઉપલબ્ધ કરાવીને કોરોના અને તેના ડેલ્ટા આને ઓમિક્રોન જેવા બદલાતાં સ્વરૂપો , વાયરસની સંસંવેદનશીલતા સામે પણ રક્ષણ પ્રદાન કર્યું છે તેમ આરોગ્ય મંત્રીએ જણાવ્યું છે.

આ કોરોના રૂપી વાયરસનો પ્રતિકાર કરવામાં રસીકરણ જ અમોઘ શસ્ત્ર છે તે આપણને બધાને સમજાયું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વ અને દૂરંદેશીતાના પરિણામ સ્વરૂપ જ આજે ફક્ત ભારત જ નહીં પરંતુ વિદેશોમાં ભારતમાં નિર્માણ પામેલી સ્વદેશી વેક્સિન મોકલીને “વસુદેવ કુટુંબકમ” ની વિભાવના ચરિતાર્થ કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયા સતત માર્ગદર્શન હેઠળ કોરોના રસીકરણમાં ગુજરાત રાજ્યે રાષ્ટ્રભરમાં શ્રેષ્ઠ કામગીરી કરી છે.

(8:32 pm IST)