ગુજરાત
News of Monday, 17th January 2022

ભારતમાં હાલ કોરોનાને ફલૂ તરીકે જાહેર ન કરી શકાય

સ્પેન દ્વારા કોરોનાને ફ્લૂની શ્રેણીમાં મુકવામાં આવ્યું છે : આપણે જો કોરોનાને ફલૂ તરીકે જાહેર કરી તો સંક્રમણ ખૂબ વધુ ઝડપથી ફેલાય શકે છે : ડોકટર મુકેશ મહેશ્વરી

અમદાવાદ, તા.૧૬ : સ્પેન દ્વારા કોરોનાને ફ્લૂની શ્રેણીમાં મુકવામાં આવ્યું છે, અન્ય કેટલાક યુરોપના દેશોએ ગાઈડલાઈનમાં છૂટછાટ આપી છે, જેને લઈ મેડિકલ એસોસિએશનના મીડિયા કન્વિનર ડોકટર મુકેશ મહેશ્વરીએ કહ્યું કે, અત્યારે ભારત મહામારીના પિક તરફ જઈ રહ્યો છે. હાલની સ્થિતિએ આપણે જો કોરોનાને ફલૂ તરીકે જાહેર કરી દઈએ તો પોઝિટિવ રિપોર્ટ આવનાર પણ નિશ્ચિન્ત થઈને બહાર ફરવા લાગશે અને સંક્રમણ ખૂબ વધુ ઝડપથી ફેલાય એવી શક્યતા છે. હજુ આગામી ૧૫ દિવસમાં ભારત કોરોનાના પિકથી પસાર થઈ જાય, હજુ વધુ ડેટા આવી જાય અને કેસો ઘટી જાય તો નિયમોમાં જરૂરથી ઢીલાશ આપવા માટે ડેટાનો અભ્યાસ કરીને વિચાર કરી શકાય.

વધતા કોરોના સંક્રમણ મામલે ડો. મુકેશ મહેશ્વરીએ જણાવ્યુ કે, દરેક દેશની ભૌગોલિક પરિસ્થિતિ, ત્યાં કોરોનાના કેટલા વેવ આવ્યા અને વેક્સીનેશન કેટલું થયું છે એ જોતાં ફ્લૂની શ્રેણીમાં કોરોનાને મુકવો કે નહીં એ અંગે નિર્ણય લેવાઈ રહ્યા છે. સ્પેન સહિત યુરોપના કેટલાક દેશોમાં ૪ થી ૫ કોરોનાના વેવ આવી ચુક્યા છે, તેમજ વેકસીનેશનનું પ્રમાણ ખૂબ ઊંચું છે, એ સિવાય એ દેશોમાં વર્કફોર્સનું પ્રમાણ ખૂબ ઓછું છે, એ તમામ સમીકરણો જોતા કોરોનાને ફલૂ તરીકે જોવાનો નિર્ણય એ દેશો કરી રહ્યા છે. ભારતમાં આપણે હાલ કોરોનાને ફલૂ તરીકે હાલ જાહેર ના કરી શકીએ, હાલ આપણે ગાઈડલાઈન બદલીને દર્દી માટે આઇસોલેશનનો ગાળો ૧૪ દિવસથી ઘટાડી ૭ દિવસનો કર્યો છે. જો કેસો ખૂબ વધી જાય અને ૧ ટકા દર્દીઓને દાખલ કરવો પડે તો આપણી હેલ્થ સિસ્ટમ પર મોટો લોડ પડી શકે છે.

હાલ કોરોનાં કેસો હજારોની સંખ્યામાં આવી રહ્યા છે ત્યારે લોકો જાતે જ દવાઓનું સેવન કરવા લાગ્યા છે જેના જવાબમાં તબીબે કહ્યું કે આપણે પાછલી વેવમાં 

હાઇડ્રોક્સીક્લોરોકવિન, એઝીથ્રોમાઇસીન જેવી દવાઓનો ઉપયોગ કરતા હતા, પણ આ દવાઓનો કોરોનાના ઈલાજમાં કોઈ ઉપયોગ નથી એ સાબિત થયું છે. મોટાભાગના દર્દીઓ માઈલ્ડ લક્ષણો સાથે પોઝિટિવ આવી રહ્યા છે, જો બિનજરૂરી રીતે સ્ટીરોઈડ કે ઝીંક જેવી દવા કોઈ લે તો ભવિષ્યમાં મ્યુકોરમાઇકોસીસ જેવી ગંભીર બીમારીનો ભોગ બનવાની શકયતા છે. સેલ્ફ મેડિટેશન હાલ લોકો ના કરે એ અપીલ કરું છું નહીં તો એના પરિણામ ઘાતક આવી શકે છે.  હાલ તમામ ઘરોમાં શરદી, ખાંસી, તાવના લક્ષણો સાથે લોકો કોરોનાનો ટેસ્ટ કરાવી રહ્યા છે જેને લઈને કેન્દ્ર સરકાર પણ ચિંતિત છે, કેમકે તમામ કિસ્સાઓમાં કોરોના પોઝિટિવ જ હોવું એ જરૂરી નથી જેના જવાબમાં ડોકટરે કહ્યું કે અત્યારે ૩ વાયરસ એક સાથે જોવા મળી રહ્યા છે. કોરોના, ઈંન્ફ્લુએન્ઝા, રેસ્પીરેટરી વાયરસ અત્યારે આપણી વચ્ચે છે, કોરોના સિવાય અન્ય વાયરસ શિયાળાની સીઝનમાં સામાન્ય રીતે જોવા મળે જ છે. અત્યારે જે મુજબ ઓમિક્રોનનું સંક્રમણ ફેલાયું છે એ જોતાં ૫ માંથી ૪ લોકો કોરોના સંક્રમિત થવાની શક્યતા છે, જો કે હાલ સાદો ફ્લૂ પણ ખૂબ જોવા મળી રહ્યો છે. જો લક્ષણો હોય તો લોકો ટેસ્ટિંગ કરાવે તો આઇસોલેટ થવા અંગે ખ્યાલ આવશે, અને પરિવારમાં અન્ય લોકોને સુરક્ષિત રાખી શકાશે તેમજ કોરોનાને વધતો અટકાવી શકાશે. પરંતુ શરદી, ખાંસી અને સામાન્ય તાવ આવે એટલે લોકો ટેસ્ટિંગ માટે લાઈન લગાવી રહ્યા છે ત્યારે ૈંઝ્રસ્ઇ એ આપેલી ગાઈડલાઈન ફોલો કરવાની જરૂર છે. ICMR એ ''''નોટ ટુ બી ટેસ્ટડ'''' ના સ્લોગન સાથે ગાઈડલાઈન જાહેર કરી છે, કોઈ પાસે પૈસા હોય એટલે ટેસ્ટ કરાવીએ એ ખોટું છે, આઈસોલેશન બાદ સ્વસ્થ થઈએ એટલે ફરી ટેસ્ટ કરાવવાની જરૂર નથી. કોરોના પોઝિટિક વ્યક્તિના કોન્ટેક્ટમાં આવ્યા હોઈએ અને કોઈ લક્ષણ ના હોય તો ટેસ્ટ કરાવવાની જરૂર નથી, કોમ્યુનિટીમાં લક્ષણો ના હોય એવા લોકોના જે ટેસ્ટિંગ થાય છે એને રોકવા જોઈએ, જેથી જેને જરૂર છે એનું ટેસ્ટિંગ સરળતાથી થઈ શકે.

(7:37 pm IST)