ગુજરાત
News of Monday, 17th January 2022

સુરતમાં ટેક્‍સટાઇલ માર્કેટમાં વેપારીઓના ઉઠમણામાં પોલીસ કર્મચારીઓની શંકાસ્‍પદ ભૂમિકાઓના પગલે પીઆઇ સહિત આખા સ્‍ટાફની બદલી કરતા હર્ષ સંઘવી

સલાબતપુરા પોલીસ સ્‍ટેશનના પીઆઇ, 11 પીએસઆઇ અને 104 પોલીસ કર્મચારીઓની બદલી

સુરત: રાજ્યમાં પોલીસમાં સ્ટેશનમાં નો રિપિટ થીયરીનું અમલીકરણ શરૂ થઈ ગયું હોવાનું સામે આવ્યું છે. જેમાં જે તે બદનામ પોલીસ સ્ટેશનનો આખે આખો સ્ટાફ બદલાવવાનો સિલસિલો સુરતથી ચાલું થયો છે. સુરતથી ગૃહરાજ્યમંત્રીએ સપાટો બોલાવવાની શરૂઆત કરતા સલાબતપુરાના 104 પોલીસકર્મીઓની એકાએક બદલી કરી નાંખવામાં આવી છે.

ટેક્સટાઈલ માર્કેટની નજીક સલાબતપુરા પોલીસ સ્ટેશન આવેલું છે. ટેક્સટાઈલ માર્કેટ વેપારીઓના ઉઠામણાં થઈ રહ્યા હતા. ઉઠામણામાં પોલીસ કર્મીઓની શંકાસ્પદ ભૂમિકા હતી. જેના કારણે હર્ષ સંઘવીએ મોટો નિર્ણય લઈને PI સહિત આખા સ્ટાફની બદલી કરી નાંખી હતી. જાણવા મળી રહ્યું છે કે આજે હર્ષ સંઘવી કાપડ વેપારીઓ ટેલી કોન્ફરન્સ કરશે.

સુરત ટેક્સટાઈલ માર્કેટ વેપારીઓના ઉઠામણાંમાં વિવિધ વેપારી સંગઠનોની ફરિયાદને પગલે પોલીસ કમિશનર અજયકુમાર તોમરે સલાબતપુરા પોલીસ મથકના પીઆઇ, 11 પીએસઆઇ અને 104 પોલીસ કર્મીઓની એકસાથે બદલી કરી દેતા ખળભળાટ મચ્યો છે. પહેલીવાર એક પોલીસ સ્ટેશનમાં ટોપ ટુ બોટમ એમ આખા સ્ટાફની બદલીની ઘટના બનવા પામી છે. રવિવારે સાંજે સલાબતપુરા પોલીસ મથકના આખા સ્ટાફની બદલીનો હુકમ કરતા પોલીસ બેડામાં સોપો પડી ગયો છે.

નોંધનીય છે કે ખુદ પોલીસ બેડામાં જ ચર્ચા છે કે સલાબતપુરા પોલીસે સાત યુવકને ઢોર માર માર્યો હતો, જે મામલે હાઈકોર્ટમાં ફરિયાદ થઈ હતી. કોર્ટમાં માત્ર એક પ્રતિવાદીને ત્રણ વાર મહેતલ અપાઈ છતાં જવાબ રજૂ કર્યો ન હતો, જેને પગલે કોર્ટે પોલીસ કમિશનર અને સલાબતપુરાના 4 પોલીસ કર્મીને 25 હજારનો દંડ ફટકાર્યો હતો. જેને પગલે આ તવાઈ આવી હોવાની પોલીસ બેડામાં જ ચર્ચા ચાલી રહી છે.

(4:50 pm IST)