અમદાવાદના રિવરફ્રન્ટ પરથી પરિણીતાએ 5 માસના દીકરા સાથે કૂદીને આત્મહત્યા કરી
ગૃહ કંકાસથી કંટાળી પરિણીતાએ પુત્ર સાથે જીવન ટૂંકાવ્યું :પોલીસે પતિ સહિત સાસરિયાઓ સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી
અમદાવાદના રિવરફ્રન્ટ પરથી પરિણીતાએ પોતાના 5 માસના દીકરા સાથે આત્મહત્યા કરી છે. ગૃહ કંકાસથી કંટાળી પરિણીતાએ આત્મહત્યા કરતા પોલીસે પતિ સહિત સાસરિયાઓ સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. રિવરફ્રન્ટ ફરી એક વખત આત્મહત્યા માટેનું હોટસ્પોટ સાબિત થયું છે.અમરાઈવાડી વિસ્તારમાં રહેતી 26 વર્ષીય પરિણીતા મનીષા મારુએ પોતાના 5 માસના માસૂમ પુત્ર સાથે જીવન ટૂંકાવ્યું છે.
16 તારીખના રોજ બપોરના સમયે ગૃહ કંકાસથી ત્રસ્ત થઈને પોતાના દીકરા સાથે નદીમાં ઝંપલાવ્યું હતું. ફાયર બ્રિગેડને (Fire brigade)જાણ થતાં જ ફાયર બ્રિગેડના જવાનોએ માતા પુત્રના મૃતદેહને બહાર કાઢી પોલીસને જાણ કરી હતી. પોલીસે આ અંગેની જાણ મૃતક યુવતીના પરિવારજનોને કરતા તેઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા.
મૃતક પરિણીતાના ભાઈ જતીન વાઘેલાએ ફરિયાદ નોંધાવી છે કે આશરે દોઢ વર્ષ પહેલાં તેની બહેન મનીષાએ રાજેશ મારુ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. તે સમયે મનીષાના પરિવારજનોએ રાજેશ દારૂ પીવાની ટેવ ધરાવતો અને ઓછું ભેણેલો હોવાથી લગ્નની ના પાડી હતી. જોકે પરિવારની મરજીની વિરુદ્ધમાં જઈને લગ્ન કર્યા હોવાથી પરિવારજનોએ સંબધ તોડી નાખ્યા હતા. જોકે મૃતક યુવતી 8મી ડિસેમ્બરના દિવસે તેની માતાના ઘરે આવી હતી અને કહ્યું હતું કે તેનો પતિ દારૂ પી ને આવીને મારઝૂડ કરીને ટોર્ચર કરે છે. એટલો માર મારે છે કે તેના હાથ પગ કામ કરતા નથી.
જ્યારે તેના સાસુ સસરા પણ ઘરના કામકાજ અંગે મહેણા ટોણા મારે છે. તેને નાનો દીકરો હોવા છતાં નોકરી કરીને પૈસા કમાવી લાવવા માટે દબાણ કરે છે. જોકે તેનો ઘરસંસાર તૂટે નહીં તે માટે તેના માતા અને ભાઈએ સમજાવીને સાસરીમાં પરત મોકલી હતી. ગઈકાલે પોલીસે પરિવારજનોને આત્મહત્યાના બનાવ અંગેની જાણ કરતા મનીષાના પતિ તેમજ સાસુ-સસરા વિરુધ રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.
2021ના વર્ષમા રિવરફ્ન્ટ સ્યુસાઈડ પોઈન્ટ બન્યો છે. છેલ્લા ચાર વર્ષમા સૌથી વધુ આપઘાત 2021માં નોંધાયા છે. ચાર વર્ષમાં આપઘાતના આંકડા સામે આવ્યા છે અને જે ગંભીર છે. વર્ષ 2018 માં 116 મોત, 2019માં 88 લોકોના મોત, 2020માં 98 અને 2021માં 132 લોકોના મોત થયા છે.