શ્રી સ્વામિનારાયણ મંદિર, ધરમપુર ખાતે શિક્ષાપત્રીની ૨૯૫ મી જયંતી ઉજવાઇ...
મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના દેશ વિદેશના મંદિરોમાં પણ આ પર્વ ઉજવાયું...
હિન્દુ કેલેન્ડરની મહા સુદ પાંચમ એટલે વસંત ઋતુના આગમનની છડી પોકારતી વસંત પંચમી. ભગવાન શ્રી સ્વામિનારાયણે સર્વ જીવ હિતકારી શિક્ષાપત્રી વસંત પંચમીના દિવસે લખી હોવાથી ગયા શુક્રવારે દુનિયાભરના સ્વામિનારાયણ મંદિરોમાં વસંત પંચમીના પર્વની સાથે સાથે 195મી શિક્ષાપત્રી જયંતી પણ ઉજવાઇ હતી.
વસંત પંચમીના વણજોયા મુહૂર્ત પર શિક્ષાપત્રી લખાઇ ત્યારે સ્વામિનારાયણ ભગવાને કહેલું કે, તેમના જે આશ્રિતો શિક્ષાપત્રી મુજબ ચાલશે તેઓ જીવનમાં ક્યારેય દુ:ખી નહીં થાય. ધરમપુર ખાતેના શ્રી સ્વામિનારાયણ મંદિરમાં શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજના સાનિધ્યમાં 212 શ્લોકો ધરાવતી શિક્ષાપત્રીનું સમૂહમાં વાચન કર્યું હતું.
ઘણા સત્સંગીઓ શિક્ષાપત્રી લઇને આવ્યા હતા તો ઘણાએ તેમના ઇ-રીડર, ટેબ્લેટ કે સ્માર્ટફોનમાં શિક્ષાપત્રી વાંચી હતી. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીને સર્વે શાસ્ત્રોના સારરૂપ ગણાવી છે અને શિક્ષાપત્રીમાં તેમણે લખ્યું છે કે, ‘આ શિક્ષાપત્રી સર્વે મનુષ્યોને મનવાંછિત ફળની આપનારી છે. સર્વે સત્સંગીઓએ શિક્ષાપત્રીને અનુસરીને જ વર્તવું.’
શિક્ષાપત્રી 195 વર્ષ અગાઉ સંવત 1882ની મહા સુદ પાંચમના દિવસે લખાઇ હોવા છતાં તેમાં જે વાતો કરવામાં આવી છે અને જે જ્ઞાનોપદેશ અપાયો છે તે આજે પણ એટલો જ પ્રાસંગિક લાગે છે.
શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજના સાનિધ્યમાં શ્રી સ્વામિનારાયણ મંદિર, ધરમપુર ખાતે શિક્ષાપત્રીની ૧૯૫ મી જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. અને મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના દેશ વિદેશના શ્રી સ્વામિનારાયણ મંદિરોમાં આ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેનો સૌએ ઓનલાઇન દર્શનનો લ્હાવો લીધો હતો.