ગુજરાત
News of Wednesday, 17th February 2021

નર્મદા જીલ્લા બીટીપીના ઉપપ્રમુખ રવિન્‍દ્ર વસાવાએ અચાનક હોદ્દા ઉપરથી રાષ્‍ટ્રીય અધ્‍યક્ષને રાજીનામુ ધરી દેતા અનેક તર્ક-વિતર્ક

રાજપીપળા: નર્મદા જિલ્લા બિટીપી ઉપપ્રમુખ રવિન્દ્ર વસાવાએ અચાનક હોદ્દા પરથી રાષ્ટ્રીય અધ્યક્ષને રાજીનામુ ધરી દેતા રાજકારણ ગરમાયુ છે. જેને પગલે અનેક તર્ક વિતર્ક થિ રહ્યા છે. રવિન્દ્ર વસાવા પાર્ટી કે નેતાઓ કોનાથી નારાજ હોવાના પ્રશ્નો પણ ચર્ચાઇ રહ્યા છે.

નર્મદા જિલ્લા સ્થાનિક સ્વરાજ ચૂંટણીને લઈને માહોલ જામી રહ્યો છે. ભાજપ હાલ કોંગ્રેસ અને બિટીપીના કાર્યકરોને પોતાની પાર્ટીમાં  સમાવી રહ્યો છે. જેમ જેમ મતદાનની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ ચુંટણીના ઉમેદવારોની ચિંતામાં વધારો થઇ રહ્યો છે.આ તમામની વચ્ચે ન અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે.

હોદ્દા મુજબ કામ નહીં થઇ શકવની રજૂઆત

નર્મદા જિલ્લા બિટીપી ઉપપ્રમુખ રવિન્દ્ર વસાવાએ બિટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ડેડીયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવાને પોતાના હોદ્દા પરથી રાજીનામુ આપતા જણાવ્યું છે કે, હોદ્દા મુજબ મારાથી કોઈ કામ થઈ શકતું નથી, તેમજ સમાજના લોકો મારી પાસે જે આશા અપેક્ષાઓ લઈને આવે છે એ મારાથી પુરી થઈ શકતી નથી.પાર્ટીના લોકોને મારાથી સમય અપાતો નથી, હોદ્દા પર રહી જે કામ થવા જોઈએ એ થઈ શકતા નથી હું મારી જવાબદારી પણ નિભાવી શકું એમ નથી.જેથી મારુ આ રાજીનામુ સ્વીકારી મને પદભાર પરથી મુક્ત કરો.નર્મદા જિલ્લા બિટીપી ઉપપ્રમુખ રવિન્દ્ર વસાવાએ જણાવ્યું હતું કે મેં ફક્ત મારા હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે, હું બિટીપીના કાર્યકર તરીકે મારી ફરજ નિભાવતો રહીશ.

AIMIM સાથે ગઠબંધનનો મુદ્દો

ઉલ્લેખનીય છે કે બિટીપીએ કોંગ્રેસ સાથે જ્યારે ગઠબંધન તોડ્યું અને AIMIM સાથે ગઠબંધન કર્યું એ બાબતે પાર્ટીના કાર્યકરોને કોઈ પણ રીતે વિશ્વાસમાં લેવાયા ન્હોતા જેથી પાયાના કાર્યકરોમાં રોષ ફેલાયો હોવાની ચર્ચાઓએ પણ જોર પકડ્યું હતું.તો નર્મદા જિલ્લા બિટીપી ઉપપ્રમુખ રવિન્દ્ર વસાવાના રાજુનામા પાછળ એ કારણ તો નહિ હોય એ પ્રશ્ન પણ લોકોમાં ઉઠી રહ્યો છે.

(5:14 pm IST)