નવજાતને તરછોડનાર નિષ્ઠુર માતા સહિત ચાર ઝડપાયા
પોલીસે સીસીટીવીના આધારે આરોપીને ઝડપી લીધા : મહિલા આઠ મહિના પહેલા પિયર વેજલપુર આવી હતી ત્યારે ગર્ભવતી હોવાનું ખબર પડી, આ બાળક પ્રેમીનું હતું
અમદાવાદ,તા.૧૭ : અમદાવાદઃ શહેરના વેજલપુર ગામ અને ફતેહવાડી નજીક મળી આવેલી નવજાત બાળકીઓને ત્યજી દેવાના કિસ્સામાં પોલીસને મોટી સફળતા મળી છે . પોલીસે બન્ને બાળકીઓના અસલ માતા-પિતાને શોધી કાઢ્યા. પરંતુ માનવતાને લજવાડે તેવો ખુલાસો પોલીસની તપાસમાં સામે આવ્યો. અનૈતિક સંબંધમાં માં- બાપે જ બાળકીને ત્યજી દીધી. ઘટના એવી છે કે નવજાત શિશુને તરછોડનાર મહિલાને પતિ સાથે ઝઘડો થતા તે આઠ મહિના પહેલા પોતાના પિયર વેજલપુર આવી હતી. ત્યારે તેને ગર્ભવતી હોવાનું ખબર પડી. આ બાળક પ્રેમીનું હતું. જેથી પોતાના પતિ પાસે પરત ફરવા માટે બાળકીને ત્યજી દીધું હતું. પરંતુ વેજલપુર પોલીસે સીસીટીવી ફુટેજના આધારે આરોપીને ઝડપી લીધા.
અનૈતિક સબંધથી દીકરીનો જન્મ છુપાવવા જનેતાએ બાળકીને ત્યજી દીધી. હવે બીજા કિસ્સામાં તો બાળકીને તેના સગા પિતાએ ત્યજી દીધી હોવાનું ખુલ્યું. બાળકી મળી આવી હોવાનું તરકટ કરીને ફરિયાદ કરનાર રીક્ષા ચાલક જ બાળકીનો સગો પિતા નીકળ્યો. પોલીસે ફરિયાદી રીક્ષા ચાલક સફારૂદિન મન્સૂરી અને તેની પ્રેમિકાની ધરપકડ કરી છે. આ કિસ્સામાં પણ અનૈતિક સંબંધ ને છુપાવવા નિર્દોષ બાળકીને ત્યજી દીધી હતી. રીક્ષા ચાલક સફારૂદિન મન્સૂરી અને મહિલા વચ્ચે પ્રેમ સંબંધ હતો. મહિલાની માતા બીમાર હોવાથી રીક્ષા ચાલક તેમને હોસ્પિટલમાં લઈ જવા આવતો હતો. જેમાં બંને વચ્ચે સંબંધ બધાયો. અને મહિલાએ બાળકીને જન્મ આપ્યો. આ બાળકીને મહિલાની માતાએ સફારૂદિનને સોંપી દીધી હતી.
જેથી પરણિત આરોપીએ બાળકીને ત્યજી દેવા આવું તરકટ રચયુ. પરંતુ પોલીસની તપાસમાં તેનો ભાંડો ફૂટ્યો. પોલીસે રીક્ષા ચાલક અને તેની પ્રેમિકાની ધરપકડ કરી. કહેવાય છે કે માં તો વ્હાલ નો દરિયો. જ્યારે પિતા માટે દીકરી એટલે લાડકવાઈ. પરંતુ આ બન્ને બાળકીઓ માટે તો માતા પિતા જ નિર્દય બન્યા અને રોડ પર ત્યજી દીધી.. અનૈતિક સંબંધની સામે બાળક પ્રત્યેની મમતા મરી પરવારી. આ બનેં કિસ્સામાં પોલીસે પ્રેમી યુગલની ધરપકડ કરી છે જ્યારે બાળકીઓને આરોપીઓને સોંપવા કે નહીં તે મુદ્દે કાર્યવાહી શરૂ કરી છે.