જયેશ પટેલને ગુજરાત લાવવાના પ્રયાસોને બળ મળ્યું
નિરવ મોદીને ભારત મોકલવાની બ્રિટનની લીલીઝંડીથી ગુજરાત પોલીસ ગેલમાં
લંડન અદાલતે જેની કસ્ટડી લંબાવી છે તેવા જામનગરના એડવોકેટની હત્યા સહિત ૪૦ ગુન્હાના આરોપીને પ્રત્યાર્પણથી લાવવાની ફૂલપ્રુફ દરખાસ્તને ઢાળ મળશે તેવું મુખ્ય પોલિસવડા આશિષ ભાટિયા સહિત કાયદાના તજજ્ઞો માની રહ્યાનું સૂત્રોનો દાવો
રાજકોટ તા. ૧૭ : પંજાબ નેશનલ બેંક સાથે ૧૪ હજાર કરોડ આસપાસની રકમનો ફ્રોડ કરી નાશી છૂટેલા નિરવ મોદીને બ્રિટીશના ગૃહમંત્રી પ્રીતિ પટેલ દ્વારા ભારત ખાતે પ્રત્યાર્પણ સંધીથી ભારતને સોંપવા માટે લીલીઝંડી આપતા કુખ્યાત કુખ્યાત ભૂમાફિયા તથા જામનગરના એડવોકેટ કિરીટભાઇ જોષીની હત્યાના આરોપી જયેશ પટેલને બ્રિટનથી ગુજરાત લાવવાના પ્રયાસોને બળ મળશે તેમ ગુજરાતના મુખ્ય પોલીસવડા આશિષ ભાટિયા માની રહ્યા છે.
અત્રે યાદ રહે કે જામનગર એસ.પી. તરીકે ખાસ આ જ મિશન માટે જેમને પોસ્ટીંગ અપાયું છે તેવા દીપેન ભદ્ર ટીમ દ્વારા જયેશ પટેલ તથા તેમની ગેંગના એક ડઝન સભ્યો સામે અદાલતમાં ૬૦ હજાર પાનાનું ચાર્જશીટ રજૂ કરવામાં આવ્યું છે.
અત્રે યાદ રહે કે હત્યા સહિત જેમના પર ૪૦ જેટલા આરોપ છે અને હાલ લંડનની અદાલતે જેની કસ્ટડી ૨૮ દિવસ લંબાવી છે તેવા આરોપીની પ્રત્યેક ગતિવિધિ પર જામનગર પોલીસ સાથે ગુજરાતના મુખ્ય પોલીસ વડા આશિષ ભાટીયા દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે, ગુજરાત પોલીસ દ્વારા ફૂલપ્રુફ કાયદાકીય ગાળ્યા જેવી દરખાસ્ત તૈયાર કરી કેન્દ્રને મોકલી આપવામાં આવી હોવાનું સૂત્રો જણાવે છે.
ફરી મૂળ વાત પર આવીએ તો જામનગર જીલ્લા પોલીસવડા ટીમ પણ હવે આ નવા ડેવલોપમેન્ટને કારણે આશાવાદી બની છે, અત્રે યાદ રહે કે જામનગર એસપી CBI સાથે પણ સતત સંકલન રાખી રહ્યા છે. સૂત્રો માટે જામનગર માફક આરોપી જયેશ પટેલનું લોકેશન જેમના સાયબર સેલ દ્વારા શોધાયેલ તેવા રાજકોટ રેન્જ વડા સંદીપસિંહ પણ નિરવ મોદીને ભારત લાવવાની મંજૂરી બાદ આરોપી જયેશ પટેલને જામનગર લાવવાનો રસ્તો કિલયર થશે તેવો મત ધરાવતા હોવાનું પણ સૂત્રો માને છે.