ધાનેરા તાલુકાના આલવાડા ગામે ગરીબ લોકોના ત્રણ પ્લોટ પચાવી પાડનાર બે માથાભારે શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ
ધાનેરા:તાલુકાના આલવાડા ગામના ગરીબ વ્યક્તિના ત્રણ પ્લોટ પચાવી પાડનાર બે માથાભારે તત્વો વિરૃધ્ધ ફરિયાદ નોંધાઇ છે. બનાસકાંઠા જિલ્લા કલેકટરએ અરજદાર મુકેશકુમાર એસ. ચૌહાણની અરજી તથા ધાનેરા તાલુકા વિકાસ અધિકારીના પંચનામાના આધારે મળેલ કેસને ધ્યાને લઇ ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ-૨૦૨૦ હેઠળ પોલીસ ફરીયાદ કરવા હુકમ કરવામાં આવ્યો હતો. તે હુકમના આધારે ધાનેરા પોલીસ સ્ટેશનમાં ત્રણ પ્લોટોના દબાણદાર શખસો મશરા તલકાભાઇ પરમાર તથા ગણપત મશરાભાઇ પરમાર બંન્ને રહે. આલવાડા, તા. ધાનેરા વિરૃધ્ધ ફરીયાદ દાખલ થઇ છે. ફરીયાદમાં જણાવ્યા પ્રમાણે આલવાડા ગામાના આ બે માથાભારે ઇસમોએ અરજદારના પિતા અને કાકાઓને મળેલા ત્રણ મફત પ્લોટોમાં બિનઅધિકૃત રીતે કબજો કરી તારની વાડ બનાવી અંદર છાપરું બનાવી દબાણ કર્યુ છે તેવી ધાનેરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.