ગુજરાત
News of Saturday, 17th April 2021

એ બે તબીબોની હૃદયસ્પર્શી ફરજ નિષ્ઠા : દિવંગત માતાના અંતિમ સંસ્કાર પૂરા કરી પાછા કોવિડ ડ્યુટીમાં જોડાઈ ગયા !

ખાસ ફરજ પરના અધિકારીએ બંને તબીબોની સેવા પરમ ધર્મની ભાવનાને સલામને પાત્ર ગણાવી

વડોદરા : માતાની હુંફ હટી જવાની ઘટના સહુ માટે હૃદયદ્રાવક હોય છે. જન્મદાત્રીની વિદાય માણસ તો શું મૂંગા પ્રાણીઓને પણ હતાશ કરે છે. તેવા સમયે વડોદરાની સયાજી હોસ્પિટલના બે તબીબોની હૃદયસ્પર્શી કર્તવ્ય નિષ્ઠાની પ્રેરક કથા સામે આવી છે.
 ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે ગઇકાલે રાત્રે સયાજી હોસ્પીટલમાં યોજેલી સમીક્ષા બેઠકમાં આ બંને ઘટનાઓ જાણીને ,સંબંધિત તબીબોની સમર્પિતતા અને સેવા નિષ્ઠાને ઉજ્જવળ ઉદાહરણ સમાન ગણાવી હતી.
 વાત એમ બની કે વડોદરાની સયાજી હોસ્પિટલના પી. એસ. એમ. વિભાગમાં કાર્યરત અને છેલ્લા લગભગ સવા વર્ષથી કોવિડ મેનેજમેન્ટમાં અવિરત કાર્યરત ડો.રાહુલ પરમારના માતાશ્રીનું તાજેતરમાં અવસાન થયું.
 વડોદરા ખાતે ફરજ બજાવતા આ તબીબના માતા ગાંધીનગર ખાતે રહેતા હતા.આ ખબર મળતા ભારે હૃદયે તેઓ ગાંધીનગર ગયા. માતાના અંતિમ સંસ્કારની ફરજો પુત્રવત પૂરી કરી.અને વહેલી સવારે પાછા વડોદરા આવી ફરજ પર જોડાઈ ગયા. માતાનું અવસાન હૃદય દ્રાવક ઘટના છે.પરંતુ આ ભારે ખોટ તેમની ફરજ નિષ્ઠાને વિચલિત ન કરી શકી.કદાચ તેમણે એવું માન્યું હશે કે આ કટોકટીના સમયે કોવિડ સેવાથી વધુ શ્રેષ્ઠ કોઈ શ્રધ્ધાંજલિ ન હોય શકે.
 યાદ રહે કે આ તબીબના ફાળે ખૂબ જ અઘરી ગણી શકાય એવી કોવિડ ફરજ આવેલી છે. એમણે સારવાર દરમિયાન મૃત્યુ ના પ્રસંગે મૃતક દર્દીના સ્વજનોને આ સમાચાર આપવાની અને તમામ વિધિઓ પૂર્ણ કરાવી મૃતદેહ સોંપવાની ખૂબ કપરી ફરજો અદા કરવાની હોય છે. કોવિડ ની આ ફરજો દરમિયાન તેઓ જાતે ગત ડિસેમ્બરમાં કોવિડગ્રસ્ત થયાં હતાં.અને સાજા થઈને પાછા ફરજોમાં જોડાઈ ગયાં હતાં.
  એવું જ સયાજી હોસ્પીટલમાં કોવિડ ડ્યુટી કરતાં એસોસિયેટ પ્રોફેસર ડો.શિલ્પા પટેલ સાથે બન્યું. પરોઢના ત્રણ વાગ્યે તેમણે પણ પોતાની વ્હાલી માતા ગુમાવી.તેઓ ગમગીન હૃદયે અંતિમ સંસ્કારમાં જોડાયા.અને માત્ર ૬ કલાક પછી સવારે ૯ વાગ્યા પાછા પૂર્વવત કોવિડ ડ્યુટીમાં લાગી ગયાં.   આ તબીબોએ આજીવન અંગત ખોટને જાણે કે દર્દી સેવા થી સરભર કરવાનો માર્ગ પસંદ કર્યો છે.
ડો.વિનોદ રાવે જણાવ્યું કે આ લોકોએ સમર્પિતતા અને સેવા નિષ્ઠાના બેજોડ દાખલા બેસાડ્યા છે.આ બંને કોરોના યોદ્ધાઓને હું દિલથી સલામ કરું છું.  આ સમય ખૂબ કપરો છે.પોતાના પરિવાર અને સંબંધો ને ભૂલીને તબીબો અને આરોગ્ય સેવકો કોરોના ની ફરજો બજાવી રહ્યાં છે.ત્યારે તેમની આ ફરજ પરસ્તીને સમાજ યોગ્ય રીતે મૂલવે એ અનિવાર્ય છે

(6:58 pm IST)