કોરોના મહામારી માં રાજપીપળા મુક્તિધામમાં 10 ટ્રક લાકડાની મદદ કરતી નર્મદા પોલીસ
(ભરત શાહ દ્વારા) રાજપીપળા : હાલમાં ચાલી રહેલ વૈશ્વિક કોરોના મહામારી દરમ્યાન નર્મદા જીલ્લામાં પણ કોરોના સંક્રમણના કારણે ઘણા પરિવારોમાં દુ:ખદ ઘટના બની છે,આ વૈશ્વિક કોરોનાની મહામારીમાં તમામ ક્ષેત્રમાં જે મદદરૂપ થાય તેવી સામાજીક સંસ્થાઓ તેમજ એન.જી.ઓ.ની કામગીરી પણ વધી જવા પામેલ છે . રાજપીપલા ટાઉન વિસ્તારમાં પણ આ કોરોના મહામારી દરમ્યાન ઘણા લોકોના સ્વજનો પંચમહાભૂતોમાં વિલીન થઇ ગયા છે .
હાલમાં રાજપીપલાના મુક્તિધામોમાં પણ શબને ચીતા ઉપર બાળવા માટે પણ જલાઉ લાકડાઓની અછત વર્તાઇ છે.જેના કારણે મુક્તિધામમાં કામ કરતા કર્મચારી ઓને પણ આ શબોને બાળવા માટે ઘણી મુશ્કેલી ઉભી થાય છે . તેવામાં મુક્તિધામના કર્મચારીઓએ મુક્તિધામમાં લાકડા ખુટી જવાના કારણે હિમકરસિંહ પોલીસ અધિક્ષક, નર્મદાનાઓને મદદ માટે રજુઆત કરતા તેઓએ આવી કપરી પરિસ્થિતીમાં કે.કે.પાઠક, પો.સ.ઇ. ને સુચના કરતા તેઓ મુક્તીધામ માટે લાકડાની મદદ કરવા તત્પર થતા જીલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી ગ્રામ રક્ષક દળની મદદ મેળવી કુલ -૧૦ ટ્રક ભરીને લાકડા એકત્રીત કરી રાજપીપલા મુક્તિધામને પહોચાડી સેવાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડેલ છે . નર્મદા જીલ્લા પોલીસ આવા વિશ્વિક મહામારી દરમ્યાન આવા સેવાયજ્ઞમાં બની શકે તેટલી મદદ કરવા કટીબધ્ધ છે .