ગુજરાત
News of Thursday, 17th September 2020

ગુરુ ભક્તિનું નૌતમ નજરાણું શ્રી મુક્તજીવન સ્વામીબાપા સ્મૃતિ મંદિરનો ૨૯ મો પાટોત્સવ સાદગીપૂર્ણ ઉજવાયો

કોરોના મહામારી નાબૂદ થાય અને વિશ્વમાં શાંતિ સ્થપાય તદર્થે પ્રાર્થના તથા શાંતિ પાઠ કરવામાં આવ્યો

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના ઉત્તરાધિકારી શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજના સાનિધ્યમાં દેશ-વિદેશના અનેક હરિભક્તો સેવાઓ કરી અંતરનો રાજીપો પ્રાપ્ત કરી રહ્યા છે.
સેવા સમર્પણની ભાવના છે એટલે કોઈએ કદી ન ધાર્યા હોય એવાં કામ થાય છે . સ્મૃતિ મંદિર એ  સેવા સમર્પણની ભાવનાનું , ગુરુભક્તિનું નૌતમ નજરાણું છે . એટલે જ આપણે ગાઈએ છીએ કે , સેવા સમર્પણ ભાવનાથી , મંદિર આ સર્જાયું છે , ગુરુભક્તિનું દિવ્ય , નૌતમ એ નજરાણું છે ; ભવ્ય સ્મૃતિ મંદિર , હાં દિવ્ય સ્મૃતિ મંદિર. ગુર્જર વસુંધરાના મેગાસિટી અમદાવાદના દક્ષિણે ઘોડાસરમાં આવેલું વિશ્વવિખ્યાત ગુરુભક્તિનું નવું નજરાણું એટલે વિશ્વ શાંતિ કેન્દ્ર શ્રી મુક્તજીવન સ્વામીબાપા સ્મૃતિ મંદિર...
 લીલીછમ હરિયાળી વચ્ચે ધવલ - શ્વેત સંગેમરમર - આરસપહાણ પથ્થરોમાં કંડારાયેલ વિશ્વ શાંતિ કેન્દ્ર શ્રી મુક્તજીવન સ્વામીબાપા સ્મૃતિ મંદિર સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન, શ્રીજી સ્વયંમૂર્તિ જીવનપ્રાણ અબજીબાપાશ્રી, સાર્વભૌમ નાદવંશીય પરંપરાનું  ચિરંતન નિવાસસ્થાન. નિત્ય, અખંડ, અવિનાશી અને શાશ્વત શાંતિનું દ્વિતીય નામ એટલે વિશ્વ શાંતિ કેન્દ્ર શ્રી મુક્તજીવન સ્વામીબાપા  સ્મૃતિ મંદિર. શ્રી મુક્તજીવન સ્વામીબાપા સ્મૃતિ મંદિરનો ૨૯ મો પાટોત્સવ શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય  શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના  અનુગામી આચાર્યશ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજ તથા સંતોની ઉપસ્થિતિમાં  ઉજવવામાં આવ્યો હતો. ષોડશોપચાર, પૂજન, અર્ચન, આરતી, અન્નકૂટ શ્રીજી સ્વયંમૂર્તિ જીવનપ્રાણ અબજીબાપાશ્રીની વાતો ની પૂર્ણાહુતિ તથા પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજના આશીર્વાદ વગેરે અધ્યાત્મસભર કાર્યક્રમો યોજાયા હતા. વિશ્વ શાંતિ કેન્દ્ર શ્રી મુક્તજીવન સ્વામીબાપા સ્મૃતિ મંદિર, ઘોડાસર  અમદાવાદ ખાતે શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્યશ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજ તથા સંતોએ વિશ્વમાં ચાલી રહેલા કોરોના મહામારી નાબૂદ થાય અને વિશ્વમાં શાંતિ સ્થપાય તદર્થે પ્રાર્થના તથા શાંતિ પાઠ કરવામાં આવ્યો હતો.

(3:16 pm IST)