ભટ્ટ સામેની સુનાવણી વિડિયો કોન્ફરન્સિંગથી કરવા ઇનકાર
નાર્કોટિક્સનો કેસ ઊભો કરવાનો આરોપ : પૂર્વ આઇપીએસ સંજીવ ભટ્ટ ૧૯૯૮માં બનાસકાંઠા જિલ્લાના પોલીસ વડા હતા ત્યારની ઘટનાનો કેસ
અમદાવાદ, તા.૧૭ : વર્ષ ૧૯૯૮માં બનાસકાંઠના જિલ્લા પોલીસ વડા તરીકેના કાર્યકાળ દરમિયાન ખોટો નાર્કોટિક્સ કેસ ઉભો કરવાના કેસની પાલનપુર સેશન્સ કોર્ટમાં પૂર્વ આઇ.પી.એસ. અધિકારી સંજીવ ભટ્ટ સામે ચાલી રહેલી સુનાવણી વીડિયો કોન્ફરન્સથી ન કરવા હાઇકોર્ટે આદેશ આપ્યો છે. સંજીવ ભટ્ટે ચાર અલગ-અલગ રિટ દ્વારા માગણી કરી હતી કે આ કેસ ખૂબ જૂનો તેમજ રજૂઆતના દસ્તાવેજો દળદાર હોવાથી તેની ઓનલાઇન સુનાવણી શક્ય નથી. ગુજરાત હાઇકોર્ટે સંજીવ ભટ્ટની અરજી ગ્રાહ્ય રાખી છે. હાઇકોર્ટે આદેશ આપ્યો છે કે પાલનપુર સેશન્સ કોર્ટમાં સંજીવ ભટ્ટ સામે ચાલી રહેલાં કેસની સુનાવણી વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ન કરવામાં આવે.
કોર્ટ જ્યારે ખૂલે ત્યારે તેની પ્રત્યક્ષ સુનાવણી કરવામાં આવે અને પ્રત્યક્ષ સુનાવણી શરૂ થાય ત્યાં સુધી આકેસની મુદત આપવામાં આવે. રિટમાં રજૂઆત કરવામાં આવી છે કે આ કેસના દસ્તાવેજો ૫૦૦ પાનાંથી પણ વધારે છે. તેથી વીડિયો કોન્ફરન્સથી આ દસ્તાવેજોના આધારે સુનાવણી કરવી શક્ય નથી. તેથી કોર્ટ ફરીથી રાબેતા મુજબ શરૂ થાય ત્યારબાદ જ સુનાવણી હાથ ધરાવી જોઇએ. જેના વિરોધણાં રાજ્ય સરકારે રજૂઆત કરી હતી કે અરજદાર ટ્રાયલ પાઠળ ઠેલવા માગે છે તેથી આ પ્રકારની અરજીઓ કરી રહ્યા છે અને કેસની સુનાવણી અત્યારે વીડિયો કોન્ફરન્સથી જ ચાલવી જોઇએ.