ગુજરાત
News of Friday, 17th September 2021

ડો. જીવરાજ મહેતા ભવન સ્થિત મહિલા અને બાળ વિકાસ કમિશ્નરની કચેરીની મુલાકાત લેતા મંત્રી મનીષાબેન વકીલ

અધિકારીઓ સાથે બેઠક યોજી વિભાગને લગતી દરેક યોજનાઓનો લાભ તમામ જરૂરિયાતમંદોને મળી રહે તે સુનિશ્ચિત કરવા મંત્રીએ જરૂરી સૂચનો કર્યા

અમદાવાદ :મહિલા અને બાળ કલ્યાણ વિકાસ વિભાગના રાજ્ય મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલે પદભાર સાંભળ્યાના પ્રથમ દિવસે ડો. જીવરાજ મહેતા ભવન (જુના સચિવાલય) બ્લોક નંબર.૨૦ સ્થિત મહિલા અને બાળ વિકાસ કમિશ્નરની કચેરી ખાતે મુલાકાત લીધી હતી.

મહિલા અને બાળ વિકાસ કમિશનર વિભાગ સંલગ્ન કચેરીઓના તમામ અધિકારી સાથે બેઠક યોજીને મંત્રી વકીલે મહિલા અને બાળ વિકાસ વિભાગને લગતી દરેક યોજનાઓનો લાભ તમામ જરૂરિયાતમંદોને સમયસર મળી રહે તે સુનિશ્ચિત કરવા જરૂરી સૂચનો કર્યા હતા.
મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ કે.કે. નિરાલાએ વિભાગની કામગીરી, યોજનાઓ તથા તેનો વ્યાપ અને આગામી આયોજનો અંગે મંત્રીને વિસ્તૃત જાણકારી આપી માહિતગાર કર્યા હતા. ત્યાર બાદ મંત્રીએ વિભાગના સ્ટેટ મેનેજમેન્ટ સેન્ટરની મુલાકાત પણ લીધી હતી.
આ બેઠકમાં આઇ.સી.ડી.એસ નિયામક ડી.એન.મોદી સહિત વિવિધ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(7:58 pm IST)