ગુજરાત
News of Friday, 17th September 2021

વેક્સિન નહીં લીધી હોય તે AMTSમાં પ્રવાસ નહીં કરી શકે

વડાપ્રધાનન નરેન્દ્ર મોદી જન્મદિવસે એએમસીનો નવો ફતવો :કાંકરિયા, રિવરફ્રન્ટ, લાઇબ્રેરી, સ્વિમિંગ પુલ, જીમખાનાસહિતના સ્થળોએ વેક્સિન લેનારને જ પ્રવેશ

અમદાવાદ, તા.૧૭  : વેક્સિન અંગે હવે સરકારે એક પછી એક કડક નિર્ણયો શરૂ કર્યા છે. વેક્સિન નહી લેનારા લોકો પર ગાળીયો કસવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કડક નિર્ણયો લેવાની શરૂઆત કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હવે કોર્પોરેશનની કોઇ પણ સુવિધાના ઉપયોગ માટે ફરજીયાત રસીકરણ કરાવવું પડશે. સામાન્ય બસ સર્વિસનો લાભ લેવા માટે પણ જો રસીકરણ નહી કરાવ્યું હોય તો સેવાનો લાભ લેવા દેવામાં નહી આવે.  આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસે ઐતિહાસિક રસીકરણ કર્યા બાદ કોર્પોરેશન દ્વારા ઐતિહાસિક નિર્ણય પણ લેવામાં આવ્યો હતો. જેના અંતર્ગત એએમટીએસ કે બીઆરટીએસ બસની સુવિધાનો લાભ લેવા માટે પણ વેક્સિનેશન ફરજીયાત કરાયું છે. કોર્પોરેશન દ્વારા સંચાલિક કાંકરિયા લેક, રિવરફ્રન્ટ, લાઇબ્રેરી, સ્વિમિંગ પુલ, જીમખાના, સીવી સિવિક સેન્ટર સહિત કોર્પોરેશનની કોઇ પણ સુવિધાનો લાભ લેવા માટે ફરજીયાત વેક્સિનેશન કરાવવું પડશે. એએમસીની કોઇ પણ બિલ્ડિંગમાં પ્રવેશ માટે રસીકરણ ફરજીયાત કરવામાં આવ્યું છે.

રસીકરણ થયાનું સર્ટિફિકેટ ડિજિટલી રજુ કર્યા બાદ જ પ્રવેશ આપવામાં આવશે. કોર્પોરેશન દ્વારા વેક્સિનેશનના ચેકિંગ માટે અલગ અલગ સ્કવોર્ડની રચના પણ કરવામાં આવી છે. આ ઉપરાંત સિક્યુરિટી સ્ટાફને પણ વેક્સિનેશન અંગેની ચકાસણી કર્યા બાદ જ લોકોને પ્રવેશ આપવા માટે સુચના આપવામાં આવી છે. એટલે હવે જો તમારે શહેરમાં ફરવું પણ હશે તો વેક્સિનેશન ફરજીયાત પણે કરાવ્યું હોય તે ખુબ જ જરૂરી બની ગયું છે.

(8:55 pm IST)