વડાપ્રધાનના પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં ગુજરાતમાંથી બે વિદ્યાર્થી અને એક એસ્કોર્ટ ટીચરની પસંદગી કરાઈ
વડાપ્રધાનના "પરીક્ષા પે ચર્ચા" કાર્યક્રમની છઠ્ઠી આવૃત્તિ આગામી 27 મી જાન્યુઆરીના રોજ દિલ્લી ખાતે યોજાશે
અમદાવાદ : ગુજરાત સરકારના કેબિનેટ બેઠકમાં ચર્ચાયેલા મુદ્દાઓ અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, વડાપ્રધાનના “પરીક્ષા પે ચર્ચા” કાર્યક્રમની છઠ્ઠી આવૃત્તિ આગામી 27 મી જાન્યુઆરીના રોજ દિલ્લી ખાતે યોજાનાર છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગુજરાત તરફથી જી.સી.ઈ.આર.ટી. દ્વારા બે વિદ્યાર્થી અને એક એસ્કોર્ટ ટીચરની પસંદગી કરવામાં આવી છે તેમ મંત્રીએ ઉમેર્યું હતું.
વિદ્યાર્થી અને શિક્ષકના નામની જાહેરાત કરતા મંત્રીએ જણાવ્યું કે, દાહોદ ખાતે ધોરણ 10 માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની યુગ્મા લલિતભાઈ લબાના અને અમદાવાદ ખાતે ધોરણ 9 માં અભ્યાસ કરતા વિદ્યાર્થી દક્ષ ભદ્રેશભાઈ પટેલ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં ગુજરાતનું પ્રતિનધિત્વ કરશે. જ્યારે એસ્કોર્ટ ટીચર તરીકે વિદ્યાર્થીઓ સાથે સરકારી શાળાના શિક્ષિકા પ્રાર્થનાબેન મહેતા સહભાગી થશે.
વધુમાં પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓને વડાપ્રધાન મોદીની પુસ્તક “Exam Warrior”નું વિતરણ કરવામાં આવશે. આ પુસ્તકમાં એક્ઝામ ફિયરને દૂર કરવા માટેના કેટલાક અનુભવો અને ચર્ચાઓનો ઉલ્લેખ કર્યો છે. જેના ભાગરૂપે રાજ્ય સરકારે ચિત્રકામ જેવી વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કર્યું છે. આ સ્પર્ધામાં ભાગ લેતા વિદ્યાર્થીઓને ઈનામ અને પ્રમાણપત્ર આપવાનું પણ રાજ્ય સરકારે આયોજન કર્યું છે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું
રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, રાજ્યના વિવિધ તકનીકી, તબીબી અને અન્ય વ્યાવસાયિક અભ્યાસક્રમો માટે માતૃભાષામાં અભ્યાસ સામગ્રી ડિઝાઇન કરવા માટે નિષ્ણાત સમિતિની રચના કરવામાં આવી છે. જે અંતર્ગત વિવિધ યુનિવર્સીટીઓને જે તે વિષયના ભાષાંતરની કામગીરી સોંપવામાં આવી હોવાનું તેમણે ઉમેર્યુ હતુ.
વધુમાં NEP-2020માં દર્શાવેલ ધ્યેયો અને ઉદ્દેશ્યો અનુસાર કાર્ય કરવા માટે શિક્ષણ વિભાગ દ્વારા ‘ગુજરાત NEP સેલ’ હેઠળ વિવિધ ટાસ્ક ફોર્સ સમિતિઓની રચના કરીને તેઓને કામગીરીની સોંપવામાં આવી હોવાનું તેમણે કહ્યું હતુ