ગુજરાત
News of Thursday, 18th February 2021

સાવધાન : ગુજરાતમાં ધીમેધીમે કોરોના કેસો વધવા લાગ્યા

ધ્યાન નહિ રાખીએ તો જોખમ વધશે : ઇંગ્લેન્ડ કરતા આફ્રિકાનો કોવિડ સ્ટ્રેન વધુ ખતરનાક...

અમદાવાદ તા. ૧૮ : આખા વિશ્વને એક સાથે ઝપટમાં લેનારા કોરોના વાયરસથી સંક્રમિતોની સંખ્યા ફરી એકવાર વધવાનું જોખમ ઉભું થયું છે. મહારાષ્ટ્ર અને કેરળમાં સંક્રમણ પાછું વધ્યું છે તો ગુજરાતમાં પણ ચુંટણીના વાતાવરણ વચ્ચે છેલ્લા થોડા દિવસોથી સંક્રમિતોની સંખ્યા વધી છે. નિષ્ણાંત અનુસાર કોરોના વાયરસના નવા સ્ટ્રેનથી સંક્રમિતોની સંખ્યા ૭૦ ટકા ઝડપથી વધે છે એટલે કે પહેલાનો વાયરસ ૧૦૦ સંક્રમિત દર્દીઓથી ૧૧૦ લોકોમાં ફેલાતો હતો જ્યારે નવો સ્ટ્રેનવાળો વાયરસ ૧૦૦ સંક્રમિત દર્દીઓથી ૧૭૦ લોકોમાં ફેલાતો હોવાનું રાજસ્થાન પત્રિકા નોંધે છે.

નિષ્ણાંતોનું માનવું છે કે ગયા વર્ષે નવેમ્બરમાં દિવાળીના તહેવારો પર બહાર નીકળેલા લોકોના લીધે સંક્રમિતોની સંખ્યા એકદમ વધી ગઇ હતી. કોવિડ-૧૯ ગાઇડલાઇનનું પાલન ન થવાના કારણે દેશમાં સંક્રમિતોની સંખ્યા વધવા લાગી છે. એએમએના અધ્યક્ષ ડોકટર મોના દેસાઇ કહે છે કે, કોરોના સામે લોકો જે રીતે ઢીલ વર્તી રહ્યા છે તેના પરિણામો આગામી દિવસોમાં ખતરનાક આવી શકે છે. હાલમાં ચૂંટણીના વાતાવરણની સાથેસાથે કર્ફયુમાં પણ ઢીલ અપાઇ રહી છે.

ડોકટર રાવલનું માનવું છે કે કોરોના ટેસ્ટીંગ માટે મતદાન બૂથો પર ટેસ્ટીંગની સુવિધા પણ હોવી જોઇએ. ચુંટણી સભામાં બધાએ સોશ્યલ ડીસ્ટન્સીંગનું પાલન કરવાની સાથે માસ્ક પણ અચુક પહેરવા જોઇએ. મતદાન વખતે સોશ્યલ ડિસ્ટન્સીંગ, માસ્ક, સેનેટાઇઝરનો ઉપયોગ કરવો જોઇએ. ચુંટણી સભાઓમાં માસ્કનું મફત વિતરણ કરવાની વ્યવસ્થા હોવી જોઇએ.

ગુજરાતના ચેસ્ટ ફીઝીશ્યન તથા ગુજરાત ચેસ્ટ ફીઝીશ્યન એસોસીનેશનના ભૂતપૂર્વ પ્રમુખ ડો. નરેન્દ્ર રાવલે જણાવ્યું કે, નવો સ્ટ્રેન ઝડપથી ફેલાય છે અને વધારે લોકોને અસર કરે છે. જો કે તે જીવલેણ નથી. રસીનો ઉપયોગ નવા સ્ટ્રેન સામે પણ કરી શકાય છે. અત્યારે ડબલ ઋતુમાં શરદી - ઉધરસ થઇ હોય અને ઘરેલુ ઉપચારથી જો બે-ત્રણ દિવસમાં ન મટે તો કોરોનાનું ટેસ્ટીંગ કરાવવું જોઇએ

૫ ફેબ્રુઆરીથી ૧૬ ફેબ્રુઆરી દરમિયાન ગુજરાતમાં નવા કેસ

૫ ફેબ્રુઆરી

૨૫૭

૬ ફેબ્રુઆરી

૨૫૨

૭ ફેબ્રુઆરી

૨૪૪

૮ ફેબ્રુઆરી

૨૩૨

૯ ફેબ્રુઆરી

૨૩૪

૧૦ ફેબ્રુઆરી

૨૫૫

૧૧ ફેબ્રુઆરી

૨૮૫

૧૩ ફેબ્રુઆરી

૨૭૯

૧૪ ફેબ્રુઆરી

૨૪૭

૧૫ ફેબ્રુઆરી

૨૪૯

૧૬ ફેબ્રુઆરી

૨૬૩

(11:01 am IST)