વિરોધ નો વંટોળ:વલસાડ 120 આવાસ અને મગોદડુંગરી ના લોકોએ શેલ્ટર હોમમાં જવા વિરોધ કર્યો
આફત પર આફત:હાલ કોરોના સંક્રમણ હોવાના કારણે રહીશો જવા માગતા નથી
(કાર્તિક બાવીશી દ્વારા)વલસાડ પાલિકા સંચાલિત જર્જરિત 120 આવાસના રહીશો અને કાંઠાના મગોદડુંગરી ગામે સ્થળાંતર કરી શેલ્ટર હોમમાં જવા ઇન્કાર કરતાં મામલો ગુંચવાયો હતો.વલસાડની 120 આવાસના રહીશોને જબરદસ્તી ફલેટ ખાલી કરી સ્કૂલમાં સ્થળાંતર કરવા અને મગોદ ડુંગરીના ગામના નીચાણના લોકોને પણ શેલ્ટર હોમમાં સંક્રમણનો ડર હોવાના કારણે વિરોધ કર્યો હતો.કેટલાક રહીશોએ પાલિકા દ્વારા આવાસ ખાલી કરાવવા મકાનોને તાળા
મારી દીધા હોવાની રાવ કરી હતી.વલસાડ પાલિકાની શાકભાજી માર્કેટના 120 આવાસોમાં રહેતા પરિવારોને પાલિકાની ટીમે તાઉતે વાવાઝોડાના કારણે જર્જરિત બિલ્ડિગને લઇ કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પાલિકાના સ્પોર્ટસ કોમ્પલેક્સ અને મ્યુનિસિપલ હાઇસ્કુલમાં વ્યવસ્થા કરાઇ હોય ત્યાં પરિવાર સાથે જવા સૂચના આપી હતી.પરંતુ રહીશોએ કોરોના સંક્રમણના કારણે જવાનો ઇન્કાર કરી દીધો હતો.જેના પગલે પાલિકા ટીમે વાવાઝોડાના જોખમના પગલે કેટલાક આવાસોને તાળા મારી દીધાં હોવાની રહીશોએ ફરિયાદ કરી હતી.ત્યારે બીજી તરફ કાંઠાના ગામ મગોદડુંગરીમાં પણ કિનારાના રહીશોને ગામની સ્કૂલમાં બનાવેલા શેલ્ટર હોમમાં સ્થળાંતર કરવા જણાવતા રહીશોએ વિરોધ કર્યો હતો.સરપંચ સહિતની ટીમે તેમને સલામત સ્થળે ખસેડવા જણાવતા રહીશોએ ગત વર્ષે પણ વાવાઝોડાના કારણે સ્થળાંતર કરાવ્યુ હતુ ત્યારે વ્યવસ્થિત સુવિધા મળી ન હતી અને હાલમાં કેટલાક રહીશો માંદા હોવાથી સંક્રમણનો ભયથી સ્થળાંતર કરીશું નહિ તેવી રાવ કરી ઇન્કાર કર્યો હતો.