ગુજરાત
News of Wednesday, 18th May 2022

દિવ્‍યાંગ બાળકી પ્રત્‍યે સહાનુભુતિ દાખવવાના બદલે બેંક કર્મચારીએ એવુ તે શું કહ્યુ કે મામલો કલેકટર સુધી પહોંચ્‍યો?

બેંક કર્મચારીએ કહ્યું કે, જ્‍યારે નોર્મલ બની જા ત્‍યારે ફરીથી લઇને આવજે, જેને કારણે શ્રદ્ધાબેન સોપારકરને ખોટુ લાગ્‍યુ અને પછી જે થયુ તેનાથી સૌ કોઇ હચમચી ગયા

અમદાવાદઃ દિવ્‍યાંગ બાળકો માટે કામ કરતા શ્રદ્ધાબેન સોપારકર થોડા સમય અગાઉ તેમના દિવ્‍યાંગ બાળકો માટે આધાર કાર્ડ કઢાવવા બેંકમાં ગયા હતા, ત્‍યારે પ્રોસિઝર તો સફળતાપૂર્વક શરૂ થઇ ગઇ હતી પરંતુ દીકરીના આધારકાર્ડ કાઢવામાં બેંક કર્મચારીએ વિલંબ કર્યો હતો અને કહ્યું હતું કે દિવ્‍યાંગ બાળકોનું આધાર કાર્ડ નીકળે નહીં, તે સાંભળી શ્રદ્ધાબેનને આઘાત લાગ્‍યો હતો અને આ બાબતે કલેકટરને જાણ થતા તેઓએ દરમિયાનગીરી કરી હતી.

એક ખાનગી બેંચે દિવ્યાંગ છોકરીને આધાર કાર્ડ આપવાનો ઈન્કાર કરવાના કેસમાં અમદાવાદ જીલ્લાના કલેક્ટર સંદિપ સગાલેએ દરમ્યાનગિરી કરી છે. શ્રધ્ધા સોપારકર કે જે દિવ્યાંગ બાળકો માટે કામ કરી રહ્યા છે તેમણે પ્રહલાદનગર નજીક તા.16 મે, 2022ના રોજ ઈન્સઈન્ડ બેંકમાં જઈને તેમના દિકરા અને દિકરી માટે આધાર કાર્ડની માંગણી કરી હતી. તેમના દિકરાને આધાર કાર્ડ આપવાની પ્રક્રિયા સરળતાથી હાથ ધરવામાં આવી હતી, જ્યારે બેંકના કર્મચારીએ તેમની દિકરીની બાયોમેટ્રિક વિગતો પ્રોસેસ કરવામાં વિલંબ કર્યો હતો અને વધુ સમય પસાર કર્યો હતો.

નાની છોકરી પ્રત્યે સહાનુભૂતિ દાખવવાના બદલે બેંકના કર્મચારીએ શ્રધ્ધા સોપારકરને કહ્યું કે તે જ્યારે નોર્મલ બની જાય ત્યારે ફરીથી લઈને આવજો. શ્રધ્ધા સોપારકરે જણાવ્યું હતું કે નાના છોકરી અંગે બેંક કર્મચારીના આ પ્રતિભાવથી તેમને આઘાત લાગ્યો હતો. ત્યાર પછી જ્યારે બેંક કર્મચારીએ એવું કહ્યું કે માનસિક રીતે દિવ્યાંગ વ્યક્તિ માટે તે આધાર કાર્ડ કાઢી શકશે નહીં. તે પછી શ્રધ્ધા સોપારકર આ મુદ્દા સાથે બેંકના મેનેજર પાસે ગયા હતા, પરંતુ તેમને સંતોષકારક પ્રતિભાવ મળ્યો ન હતો.

શ્રધ્ધા સોપારકરે જણાવ્યું હતું કે મને જીલ્લા કલેક્ટર કચેરીમાંથી એક કૉલ મળ્યો હતો અને મને કહેવામાં આવ્યું છે કે તેમની દિકરીના આધાર કાર્ડ માટે કોઈને અમારે ઘરે મોકલી રહ્યા છે. આવા પ્રતિભાવ બદલ હું જીલ્લા કલેક્ટરની આભારી છું. તેમણે કહ્યું કે તેમની સંસ્થાના માધ્યમથી 3 વર્ષથી ઓછા સમયમાં 1000થી વધુ સ્પેશ્યલી એબલ્ડ વ્યક્તિઓને સહાય પ્રાપ્ત થઈ છે.

“વિશેષ-વિકલાંગ લોકો સાથે કામ કરતી વખતે સંવેદનશીલતાનો અભાવ આઘાતજનક છે. ખાસ વિકલાંગોની સ્થિતિ પ્રત્યે સામાન્ય લોકોને સંવેદનશીલ બનાવવાની જરૂર છે,”. “આ વાતનો અંત નથી; હજુ પણ બેંક સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. હજારો વિશેષ બાળકોની તરફેણમાં ઘણી નીતિઓના નિર્ણયો અને અમલીકરણો હજુ આવવાના બાકી છે”. શ્રદ્ધા સોપારકરે જણાવ્યું હતું કે હું આભાર માનું છું કે તેઓ યોગ્ય સમયે પરિસ્થિતિમાં હસ્તક્ષેપ કરવા અને મામલો કલેક્ટર સુધી લઈ ગયા”

(5:32 pm IST)