અમદાવાદના AIMIMના નેતા દાનિશ કુરેશીની જ્ઞાનવાપી મસ્જિદના શિવલિંગ અંગે અભદ્ર ટિપ્પણી: હિંદુઓમાં રોષ :ધરપકડ કરવા માંગ
મહામંડલેશ્વર અખિલેશદાસજી પોલીસ ફરિયાદ નોંધાવશે :હિન્દુ યુવા વાહીનીના પ્રભારી યોગી દેવનાથે પણ પોલીસ પાસે દાનિશ કુરેશીની ધરપકડની માંગ કરી
અમદાવાદ: કાશીમાં જ્ઞાનવાપી મસ્જિદનો કેસ સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો છે.આ કેસમાં સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે ડીએમને આદેશ આપતા કહ્યું કે, જ્ઞાનવાપી મસ્જિદમાં શિવલિંગ હોય તો તેને સુરક્ષિત રાખવામાં આવે.સાથે જ મુસ્લિમોને નમાજ પઢતા પણ રોકવામાં ન આવે. ત્યારે અમદાવાદના એઆઈએમઆઈએમ નેતા દાનિશ કુરેશી ભગવાન શિવ અંગે સોશિયલ મીડિયામાં અશ્લિલ અને અભદ્ર ટિપ્પણી કરી છે. જેના કારણે હિન્દુઓમાં રોષ ભભૂકી ઉઠ્યો. ત્યારે ઔવેસીની પાર્ટીના નેતા દાનિશ કુરેશીની ધરપકડ કરવાની માંગ ઉઠી છે.આ સાથે મહામંડલેશ્વર અખિલેશદાસજી પોલીસ ફરિયાદ નોંધાવશે. ઉપરાંત હિન્દુ યુવા વાહીનીના પ્રભારી યોગી દેવનાથે પોલીસ પાસે દાનિશ કુરેશીની ધરપકડની માંગ કરી છે.
આ અંગેની મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના AIMIMના નેતા દાનિશ કુરેશીએ જ્ઞાનવાપી મસ્જિદના કેસના આદેશ બાદ એક વિવાદીત પોસ્ટ કરી છે. જેના કારણે સોશિયલ મીડિયા સહિત આખા દેશમાં ખળભળાટ મચી ગઇ છે. હિંદુઓની ભાવનાને ઠેસ પહોંચાડતી આ પોસ્ટ લોકો ડિલિટ કરવાની માંગ કરી રહ્યા છે.
આ સાથે દાનિશ કુરેશી આ અંગે માફી માંગે અને તેની ધરપકડ કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી રહી છે. ગુજરાત જ નહીં, સમગ્ર દેશના હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. ત્યારે મહામંડલેશ્વર અખિલેશદાસજી પોલીસ ફરિયાદ નોંધાવશે. તેમણે જણાવ્યુ છે કે, આ અંગે કાયદાકીય સલાહ લઇને પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવશે.