સસ્તા અનાજની નવી ૧પ૦૦ દુકાનો ખૂલશે
દુકાનદારોના રાજીનામા-અવસાનથી જગ્યા ખાલી પડી છેઃ સરકાર અરજીઓ મંગાવશે
રાજકોટ તા. ૧૮ :.. રાજયમાં સરકારે સસ્તા અનાજની નવી ૧પ૦૦ જેટલી દુકાનો ખોલવાનું નકકી કર્યુ છે. જેના માટે ટૂંક સમયમાં જિલ્લાવાર અરજીઓ મંગાવાશે. રેશનકાર્ડની વસ્તુઓનું વિતરણ કરવા માટે પરવાનેદાર બનવુ જરૂરી છે. હાલ ૧૮૦૦ જેટલી દુકાનો ખોલવા માટે જગ્યા ખાલી છે જેમાંથી ૧પ૦૦ જેટલી દુકાનો ખોલવા અરજીઓ મંગાવાશે. નવી દુકાન ખોલવા માટે હવે અગાઉ જેવુ આકર્ષણ રહયુ નથી.
સસ્તા અનાજના દુકાનદારના રાજીનામા અવસાન અથવા ગેરલાયક ઠરવા જેવા કારણોથી ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં જગ્યા ખાલી પડે છે. નવી દુકાન ખોલવા માટે સરકારે નીતિ-નિયમો નિર્ધારિત કરેલા છે. હાલ ૧૮૦૦ જેટલી દુકાનો ચાર્જમાં ચાલે છે. એક દુકાન બંધ થવાથી તેના ગ્રાહકો કામચલાઉ ધોરણે નજીકના દુકાનદારને ફાળવવામાં આવે તેને વહીવટી ભાષામાં ચાર્જમાં ગણવામાં આવે છે.