ભિલોડા તાલુકાના સુનોખ ગામે ખેતરમાંથી પસાર થઇ વેળાએ વીજ લાઈનનો તાર માથે પડતા ખેડૂતનું કમકમાટીભર્યું મૃત્યુ
ભિલોડા:તાલુકાના સુનોખ ગામે ખેડૂત તેમની પત્ની સાથે ખેતરમાં ઘાસચારો લેવા ગયા હતા.ત્યારે ખેતરમાંથી પસાર થતી વીજ લાઈનનો તાર તૂટી પડતાં ખેડૂતને કરંટ લાગતા મોત થયું હતું.આ ઘટનાની જાણ ગામ લોકોને થતાં મોટી સંખ્યામાં લોકો ઉમટયા હતા. આમ નિર્દોષ ખેડૂતનું યુજીવીસીએલ ની બેદરકારીના કારણે વીજ પોલ ઉપરથી તૂટી પડેલ વીજ તારના કારણે કરંટ લાગવાથી મોતને ભેટયા હતા.આમ ૬૫ વર્ષિય ખેડૂતનું અકાળે મોત થતાં પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ હતી.
સુનખો ગામના કચરાભાઈ મોતીભાઈ ડાભી અને તેઓના પત્ની બંને ખેતરમાં પશુઓ માટે ઘાસચારો લેવા ગયા હતા.ત્યારે ખેતરમાંથી પસાર થતી હેવી વીજ લાઈન નો તાર એકાએક તૂટતાં ખેડૂતને કરંટ લાગ્યો હતો. જેથી વીજ કરંટ લાગતાં કચરાભાઈ ડાભીનું મોત નીપજયું હતું.જયારે ખેડૂતની પત્ની દોડી જતાં આબાદ બચાવ થયો હતો.આ ઘટનાની જાણ ગામમાં થતાં લોકો દોડી આવ્યા હતા.અને વીજતંત્ર સામે રોષ ઠાલવ્યો હતો.આમ અચાનક બનેલ ઘટનાથી ખેડૂતના પરિવારજનો એ રોપકળ કરી મુકી હતી.નિર્દોષ ખેડૂતનું વીજ તંત્ર ની બેદરકારીના કારણે મોત થતાં લોકોએ વીજ તંત્ર સામે ફીટકાર વરસાવ્યો હતો.યુજીવીસીએલ ની બેદરકારીથી વિજતાર તૂટયો હોવાનું ગામ લોકોએ જણાવ્યું હતું. આમ ખેતીકામ કરતા ૬૫ વર્ષિય ખેડૂત પર થ્રિ ફ્રેઝ વીજ તાર તૂટીને પડતાં વીજ કરંટથી મોત થતાં ગામમાં શોકની કાલીમાં છવાઈ હતી.