ગુજરાત
News of Saturday, 18th September 2021

અમદાવાદમાં બસ સર્વિસનો લાભ લેવો હશે તો રસીકરણ કરેલ હોવુ ફરજીયાતઃ કોર્પોરેશન તંત્રની સુવિધા માટે ફરજીયાત કોરોના રસીકરણ

કોર્પોરેશનની બિલ્‍ડીંગમાં પ્રવેશ માટે કોરોના રસી લેવી જરૂરી

અમદાવાદ: વેક્સિન અંગે હવે સરકારે એક પછી એક કડક નિર્ણયો શરૂ કર્યા છે. વેક્સિન નહી લેનારા લોકો પર ગાળીયો કસવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કડક નિર્ણયો લેવાની શરૂઆત કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હવે કોર્પોરેશનની કોઇ પણ સુવિધાના ઉપયોગ માટે ફરજીયાત રસીકરણ કરાવવું પડશે. સામાન્ય બસ સર્વિસનો લાભ લેવા માટે પણ જો રસીકરણ નહી કરાવ્યું હોય તો સેવાનો લાભ લેવા દેવામાં નહી આવે.

આજે PM નરેન્દ્ર મોદીના જન્મ દિવસે ઐતિહાસિક રસીકરણ કર્યા બાદ કોર્પોરેશન દ્વારા ઐતિહાસિક નિર્ણય પણ લેવામાં આવ્યો હતો. જેના અંતર્ગત AMTS કે BRTS બસની સુવિધાનો લાભ લેવા માટે પણ વેક્સિનેશન ફરજીયાત કરાયું છે. કોર્પોરેશન દ્વારા સંચાલિક કાંકરિયા લેક, રિવરફ્રન્ટ, લાઇબ્રેરી, સ્વિમિંગ પુલ, જીમખાના, સીવી સિવિક સેન્ટર સહિત કોર્પોરેશનની કોઇ પણ સુવિધાનો લાભ લેવા માટે ફરજીયાત વેક્સિનેશન કરાવવું પડશે. AMC ની કોઇ પણ બિલ્ડિંગમાં પ્રવેશ માટે રસીકરણ ફરજીયાત કરવામાં આવ્યું છે.

રસીકરણ થયાનું સર્ટિફિકેટ ડિજિટલી રજુ કર્યા બાદ જ પ્રવેશ આપવામાં આવશે. કોર્પોરેશન દ્વારા વેક્સિનેશનના ચેકિંગ માટે અલગ અલગ સ્કવોર્ડની રચના પણ કરવામાં આવી છે. આ ઉપરાંત સિક્યુરિટી સ્ટાફને પણ વેક્સિનેશન અંગેની ચકાસણી કર્યા બાદ જ લોકોને પ્રવેશ આપવા માટે સુચના આપવામાં આવી છે. એટલે હવે જો તમારે શહેરમાં ફરવું પણ હશે તો વેક્સિનેશન ફરજીયાત પણે કરાવ્યું હોય તે ખુબ જ જરૂરી બની ગયું છે.

(6:18 pm IST)