વડોદરાના માંજલપુર વિસ્તારમાં બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ લાખોની મતાની ઉઠાંતરી કરતા તપાસ હાથ ધરવામાં આવી
વડોદરા: શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલી અમીન પાર્ક સોસાયટીમાં રહેતા મહેન્દ્રભાઈ પટેલ આગડીયા પેઢી ચલાવે છે. તેમની તબિયત નાદુરસ્ત હોય 09મી ઓક્ટોબરના રોજ ગાંધીનગર ખાતે પત્ની સાથે મકાનને તાળું મારી સારવાર અર્થે નીકળ્યા હતા. ત્યારબાદ 17મી ઓક્ટોબરના રોજ પરત આવતા ઘરના દરવાજાનું ઇન્ટરલોક તૂટેલું જણાઈ આવ્યું હતું. અને બેડરૂમમાં સામાન વેરવિખેર નજરે ચડયો હતો. તપાસ કરતા અજાણ્યો તસ્કર સોનાના પાટલા, સોનાનું મંગળસૂત્ર અને સોનાની ચેન મળી 1.95 લાખની કિંમતના ઘરેણાં ચોરી નાસી છૂટયો હોવાની વિગતો સપાટી પર આવી હતી. બનાવ સંદર્ભે માંજલપુર પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જ્યારે બીજા બનાવમાં કરોળિયા રોડ ઉપર આવેલી અંબિકા પાર્ક સોસાયટીમાં રહેતા પ્રકાશભાઈ ડામોર કડિયા કામ કરે છે. 13મી ઓક્ટોબરના રોજ થયો દાહોદ ખાતે પોતાના વતન ગયા હતા. દરમિયાન તેમની પત્ની મકાનને તાળું મારી કામ અર્થે ગઈ હતી. તે સમયે બંધ મકાનનો લાભ ઉઠાવી ત્રાટકેલા તસ્કરો મુખ્ય દરવાજાનો નકૂચો તોડી ઘરમાં પ્રવેશી કબાટમાંથી 90 હજાર રોકડા, સોનાની ચેન, સોનાનું મંગળસૂત્ર, સીનાની બુટ્ટી ,ચાંદીનું કડું ,ચાંદીના છડા, સોનાની વીંટી અને ચાંદીનો કંદોરો મળી 1.95 લાખ ની મત્તા ચોરી નાસી છુટયા હોવાનું બહાર આવ્યું હતું. બનાવ સંદર્ભે જવાહરનગર પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.