રાજપીપળા હરસિધ્ધિ મંદિર પાસે મળેલા 4 બાળકોની માતાને શોધી પોલીસે સખી વન સ્ટોપ સેન્ટરમાં મુક્યા
(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ગત રાત્રે રાજપીપળાના હરસિધ્ધિ માતાના મંદિર પાસે 1 થી 4 વર્ષના 4 નાના બાળકો અટવાયેલા મળી આવતા કોઈકે સેવાભાવી કાર્યકર્તા ઉર્વેશ પરીખ અને કૌશલ કાપડિયાને જાણ કર્યા બાદ બંને વ્યક્તિઓએ ત્યાં પહોંચી રાજપીપળા પોલીસને જાણ કરતા ઇન્ચાર્જ પી.આઈ સાગર રાઠોડ સહિત પોલીસ ટિમ ઘટના સ્થળે પહોંચી સાથે બાળ વિભાગના અધિકારી ચેતનભાઈ પરમારની પણ મદદ લેવામાં આવી હતી.આ બાળકોના પરિવારની તપાસ કર્યાં બાદ માતા સુનિતા મળી આવી હોય એણે પતિ છોડીને અન્ય સ્ત્રી સાથે ચાલ્યો ગયો હોય ભંગાર વીણી બાળકોનું ગુજરાન ચલાવતી હોવાનું જણાવતા પોલીસે માતા અને 4 બાળકો ને રાત્રે 2 વાગે સખી વન સ્ટોપ સેન્ટરમાં મુક્યા હતા. જ્યાં માતા સુનિતા એ પોતે કુંટીલપાડા ખાતે સાસરી અને પિયર સાગબારા હોવાનું જણાવ્યુ હતું માટે વન સ્ટોપ સેન્ટરની ટિમ હાલ અટવાયેલા માતા અને બાળકો ને પરિવાર સાથે મેળાપ થાય એ માટે આગળની તજવીજ હાથ ધરશે તેમ જાણવા મળ્યું છે.