ભાજપની કારોબારીમાં ર૦રરની જીતનો સંકલ્પ : પાટીલ જિલ્લાવાર મુકામ કરશે
વિવિધ સ્તરે ચૂંટાયેલા પ્રતિનિધિઓને ૧૦ કરોડના ખર્ચે ૧૦ ટેબ્લેટ અપાશે :દરેક જિલ્લામાં એક દિવસ અને એક રાત્રિ રોકાઇને પ્રદેશ પ્રમુખ રાજકીય તાગ મેળવશેઃ રસીકરણને વેગ આપવા 'હર ઘર દસ્તક' અભિયાનઃ પદ્મશ્રી વિજેતાઓનું સન્માન
રાજકોટ તા. ૧૭ :.. ગુજરાત ભાજપની કારોબારી આજે સવારે ૧૦ વાગ્યાથી સાંજ સુધી કમલમ પ્રદેશ કાર્યલય ખાતે યોજાયેલ છે. જેમાં ર૦રર ની ચૂંટણીમાં વધુ એક વખત વિજય માટે સંકલ્પ કરી તેને અનુરૂપ સંગઠનના કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવશે. ગુજરાતમાંથી હમણા પદ્મશ્રી એવોર્ડ મેળવનારા શ્રેષ્ઠીઓનું સન્માન કરવામાં આવેલ રસીકરણ સહિતની ઉત્કૃષ્ટ કામગીરી બદલ કેન્દ્રની મોદી સરકાર અને રાજયની ભુપેન્દ્ર પટેલની સરકારને અભિનંદન આપતો ઠરાવ થશે.
વિવિધ સ્તરે ચૂંટાયેલા ભાજપના ૧૦ હજાર સભ્યોને ટેબ્લેટ અપાશે. પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ દરેક જિલ્લામાં એક દિવસ અને એક રાત્રિ રોકાણ કરશે. રસીકરણમાં બાકી રહેલા લોકોને રસી લેવા સમજાવવા માટે કાર્યકરો હર ઘર દસ્તક નામનું અભિયાન ચલાવશે.
પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલની અધ્યક્ષતામાં તેમજ પ્રદેશ સહ પ્રભારીશ્રી સુધીરજી ગુપ્તા, મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં પ્રદેશ કારોબારીની બેઠક રાખવામાં આવી છે. જેમાં રાષ્ટ્રીય અને પ્રદેશના પક્ષના હોદેદારો, પ્રદેશમાં રહેતા મોરચાના રાષ્ટ્રીય હોદેદારો, પ્રદેશ મોરચાના પ્રમુખ પ્રદેશ સેલ સંયોજક (પ્રદેશ દ્વારા નિશ્ચિત થયેલ કોઇ એક સંયોજક) પ્રદેશ વિભાગના સંયોજક શ્રી (પ્રદેશ દ્વારા નિશ્ચિત થયેલ કોઇ એક સંયોજક) પ્રદેશ કારોબારી સભ્યો, પ્રદેશ આમંત્રીત સભ્યો, પ્રદેશ વિશેષ આમંત્રીત સભ્યો, જીલ્લા-મહાનગરના પ્રભારીઓ, જીલ્લા - મહાનગરના પ્રમુખ, રાજય સરકારના તમામ મંત્રીઓ, સંસદ સભ્યશ્રીઓ (લોકસભા અને રાજયસભા) અપેક્ષિત છે.