ગુજરાત
News of Thursday, 18th November 2021

SGVP ગુરુકુલના શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી લિખિત સંસ્કૃત ગ્રંથ ‘વચનામૃત ભૂમિકા’ નું સોમનાથ સંસ્કૃત યુનિ.માં વેદાંત વિષયમાં સ્થાન

અમદાવાદ તા. ૧૮ ભગવાન શ્રી સ્વામિનારાયણે વિશિષ્ટાદ્વૈત મતને અનુસરી સંપ્રદાયનું બંધારણ બાંધ્યું છે. ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંતો વચનામૃત, શિક્ષાપત્રી, સત્સંગિજીવન જેવા ગ્રંથોમાં ખૂબ સારી રીતે નિરૂપાયા છે. એમાં પણ વચનામૃત ગ્રંથ અદ્‌ભુત અને અજાેડ છે. આ ગ્રંથમાં વેદ, પુરાણ, સ્મૃતિ વગેરે અનેક ગ્રંથોના પ્રમાણ સાથે શ્રીહરિએ પોતાના સિદ્ધાંતોનું નિરૂપણ કર્યું છે. શ્રીહરિના મતને અનુસરીને સાચી ઉપાસના સમજવા માટે પણ વચનામૃત ખરી રીતે ઉપયોગી છે.

વચનામૃત ગ્રંથને આધારે તથા મુમુક્ષુઓને સાચુ માર્ગદર્શન મળે એવા હેતુથી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્‌(SGVP) અમદાવાદના અધ્યક્ષ પરમ પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામીએ ખૂબ જ મનન- ચિંતન-સંશોધન કરીને ‘વચનામૃત ભૂમિકા’ નામનો ગુજરાતી ભાષામાં ગ્રંથ તૈયાર કર્યો હતો.

આ વચનામૃત ભૂમિકા ગ્રંથ સંપ્રદાયના તમામ સંતોએ ખૂબ વખાણ્યો અને સંસ્કૃત યુનિવર્સિટીના સંચાલકો દ્વારા પણ બિરદવાયો. એ પછી આ ગ્રંથમાં વધારે સંશોધનો કરી સંસ્કૃત ભાષામાં તૈયાર કરવામાં આવ્યો. આ સંશોધિત ગ્રંથને શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં સ્વામિનારાયણ વેદાંત વિષયમાં શાસ્ત્રી કક્ષાના અભ્યાસક્રમમાં સ્થાન પણ મળ્યું. આ ગુરુકુલ પરિવાર તથા સારાએ સંપ્રદાય માટે એક ગૌરવવી ઘટના છે.

સંસ્કૃત ભાષાના આ ‘વચનામૃત ભૂમિકા’ ગ્રંથનું વિમોચન કાર્તિકી સમૈયા દરમિયાન વડતાલ ખાતે તારીખ ૧૬ના રોજ કરવામાં આવ્યું હતું. વડતાલ પિઠાધિપતિ આચાર્ય મહારાજ શ્રી રાકેશપ્રસાદજી મહારાજના હસ્તે તથા સંપ્રદાયના અનેક સંતોની ઉપસ્થિતિમાં ગ્રંથનું વિમોચન થયું ત્યારે સૌએ તાળીઓના ગડગડાટથી આ ક્ષણને વધાવી લીધી હતી.

વડતાલ સંસ્થા દ્વારા પ્રકાશિત આ ગ્રંથના વિમોચન પ્રસંગે આચાર્ય મહારાજશ્રીએ પોતાનો રાજીપો દર્શાવતા કહ્યું હતું કે, આજે સંપ્રદાયમાં શાસ્ત્રીજી જેવા સંતો દ્વારા સાચો સિદ્ધાંત જળવાઈ રહ્યો છે. આમે શાસ્ત્રીજી ઉપર ખૂબ રાજી છીએ.

આ ગ્રંથમાં સ્વામનારાયણીય પરંપરાના સિદ્ધાંતો અને તત્વજ્ઞાનનું પ્રતિપાદન દર્શાવ્યું છે. ઉપરાંત અનેક મનનીય અને અનુસરણીય મુદ્દાઓનો સમાવેશ આ ગ્રંથમાં થયો છો.

 

 

(11:32 am IST)