બનાસકાંઠા : વહેલી સવારે કમોસમી માવઠું : દિયોદર અને થરા પંથકમાં સતત અડધો કલાક સુધી વરસાદ
કમોસમી માવઠાથી ખેડૂતોના જીવ તાળવે ચોટયા : હવામાન વિભાગ દ્વારા પાંચ દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે
અમદાવાદ તા. ૧૮ : બનાસકાંઠા જિલ્લામાં આજે વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ બધા બાદ કમોસમી માવઠું થયું હતું. કાંકરેજના થરા અને દિયોદર પંથકમાં વહેલી સવારે કમોસમી વરસાદ પડતા સર્વત્ર પાણી પાણી થઇ ગયું હતું જેના કારણે ખેતી પાકમાં નુકસાનની સાથે સાથે રોગચાળાની પણ દહેશત ફેલાઇ હતી હવામાન વિભાગ દ્વારા પાંચ દિવસ સુધી બનાસકાંઠા જિલ્લામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેને પગલે આજે વહેલી સવારથી જ વાદળછાયુ વાતાવરણ થયુ હતું.
જયારે કાંકરેજ તાલુકાના થરા અને દિયોદર પંથકમાં વહેલી પરોઢે વાદળછાયા વાતાવરણ બાદ અચાનક કમોસમી માવઠુ થયુ હતું. સતત અડધો કલાક સુધી વરસાદનાં કારણે સર્વત્ર પાણી પાણી થઇ ગયું હતું. માવઠાનાં કારણે ખેડૂતોનાં જીવ પણ તાળવે ચોંટયા હતા અને આ બિન મોસમ વરસાદથી ખેતી પાકને નુકસાનની સાથે-સાથે રોગચાળાની દહેશત ફેલાઇ રહી છે.
હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી વરસાદની આગાહી કરી છે તેવામાં જો જિલ્લામાં પાંચ દિવસ સુધી વાદળછાયું વાતાવરણ અને વરસાદ થાય તો અનેક જગ્યાએ ખેતી પાક ને મોટું નુકસાન થાય તેવી ખેડૂતો ને ચિંતા સતાવી રહી છે.