કોંગ્રેસના સમયે કોઇ ચોક્કસ લોકોને જ પદ્મશ્રી એવોર્ડ મળતા હતાઃસી.આર.પાટીલ
ગાંધીનગર ખાતે કારોબારી યોજાઈઃ ગુજરાતભરમાં ૩૦ નવેમ્બર સુધીમાં પેજ કમીટીનું કામ પુરૂ થાય તે જોવા પ્રદેશ પ્રમુખની હાકલ :સંગઠનમાં ગુજરાત નંબર વન અને વર્ષ ૨૦૭૦ સુધી નંબર વન રહેવાનું છેઃ ભુપેન્દ્રભાઈ પટેલ
ગાંધીનગર,તા.૧૮: ભાજપની પ્રદેશ કારોબારીમાં પદ્મ એવોર્ડથી સન્માનીત થયેલા મહાનુભાવાને સન્માનીત કરવામાં આવ્યા છે તે આપણા માટે ગૌરવની વાત છે. કોંગ્રેસના સમયમાં આવા એવોર્ડ દ્યણા લોકોને મળ્યા પણ એક પાર્ટી દ્વારા તેમનું સન્માન થયું નથી, કોંગ્રેસની કોઇ કાર્યકારણીમાં તેમનું સન્માન થયું હોય તેવો કોઇ દાખલો નથી અને કોંગ્રેસના સમયે કોઇ ચોક્કસ લોકોને જ પદ્મશ્રી ઓવોર્ડ મળતા હતા પરંતુ નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા પછી આપણા દેશના જે લોકો વિશિષ્ટ કામગીરી કરે છે તેવા લોકોને પદ્મશ્રી એવોર્ડ માટે પંસદગી કરી છે ત્યારે દેશના લોકો પણ આશ્ચર્ય પામે છે અને યોગ્ય વ્યકિતને એવોર્ડ મળે છે તેમ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કારોબારીને સંબોધન કરતા જણાવેલ.
ગાંધીનગર પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે યોજાયેલી પ્રદેશ કારોબારી બેઠકમાં પાટીલે વધુમાં જણાવ્યું કે આપણી પેજ કમીટીના કાર્યોથી પ્રોત્સાહીત થઇ અન્ય રાજયોમાં પણ ભાજપ દ્વારા પેજ કમીટીનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે સાથે ગુજરાતભરમાં ૩૦મી નવેમ્બર સુધીમાં પેજ કમીટીનું કામ પુરુ થાય તે જોવા હાકલ કરી હતી. પેજ કમીટી આવનાર ચૂંટણીમાં કેવી રીતે પક્ષને ઉપયોગી નીવડશે તે અંગે માહિતી આપી હતી. કેન્દ્ર સરકાર અને રાજય સરકારની વિવિધ યોજનાનો લાભ જે તે લાભાર્થીને અપાવવા ખાસ વિનંતી કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું કે દરેક કાર્યકરે પોતે ચૂંટણી લડવાની છે તેમ માનીને તૈયારીઓ શરૂ કરે. ભાજપના કાર્યકરો પેજ સમીતીના સદસ્યો બનાવવા લોકોના ઘરે ઘરે જાય તો તેમને આવકાર મળે છે પરંતુ કોંગ્રેસના કાર્યકરો જયારે પ્રજા વચ્ચે જાય છે તો તેમને જાકોરો મળે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈની પ્રજાલક્ષી નીતીઓને કારણે જ લોકો મત આપે છે અને વધુમાં વધુ લોકો પેજ સમીતીના સભ્યો બનવા ઇચ્છે છે.