ગુજરાત
News of Thursday, 18th November 2021

કોરોનાના કેસ વધ્યા પરંતુ સ્થિતિ નિયંત્રણમાં:હવેનું અઠવાડિયું મહત્વપૂર્ણ:સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટનું નિવેદન

દિવાળી સમયે જે ભીડ જોવા મળી ત્યારે કોરોનાના કેસો વધશે એવી આશંકા હતી

અમદાવાદ: શહેરમાં દિવાળી બાદ કોરોના વાયરસના કેસોમાં વધારો જોવા મળતા તંત્ર હરકતમાં આવી ગયું છે. શહેરમાં કોરોના ટેસ્ટિંગ માટે ડોમ પણ લગાડી દેવામાં આવ્યા છે. કોરોનાના વધી રહેલા કેસને લઈ અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ટે જણાવ્યું છે કે, કોરોનાના કેસ વધ્યા છે પરંતુ હાલ સ્થિતિ નિયંત્રણમાં છે. હવેનું એક અઠવાડિયું મહત્વપૂર્ણ રહેશે. કોરોના વાયરસના હાલ જે કેસ આવી રહ્યા છે, તેમાં અન્ય રાજ્યમાંથી આવતા લોકોના વધારે છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, અમદાવાદમાં કોરોના વાયરસના ફરી એકવાર કેસો વધતા શહેરીજનોમાં ભારે ફફડાટો વ્યાપી ગયો છે. તો બીજી બાજુ તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. શહેરમાં કોરોના વાયરસના કેસને અકુંશમાં લાવવા માટે ટેસ્ટિંગ પ્રક્રિયા પર ભાર મૂકવામાં આવી રહ્યું છે. વધુમાં વધુ લોકો સરળતાથી ટેસ્ટિંગ કરાવી શકે એ માટે શહેરમાં ફરી કોરોના ટેસ્ટિંગ ડોમ ઉભા કરાયા છે.

અમદાવાદ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીનું મહત્ત્વપૂર્ણ નિવેદન સામે આવી રહ્યું છે. હાલ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં માત્ર 1 જ કોરોના પોઝિટિવ દર્દી સારવાર હેઠળ છે અને 4 શંકાસ્પદ દર્દીઓ દાખલ છે. દિવાળી સમયે જે ભીડ જોવા મળી ત્યારે કોરોનાના કેસો વધશે એવી આશંકા હતી. કોરોનાના કેસો વધ્યા પણ ખરા પરંતુ સ્થિતિ નિયંત્રણમાં છે.

તેમણે ઉમેર્યું હતું કે, હવે આગામી એક અઠવાડિયું મહત્વપૂર્ણ રહેશે, જે લોકો બહાર ફરીને આવ્યા છે એમનું મોનીટરીંગ જરૂરી રહેશે. જે કેસો પણ અત્યારે આવે છે એવા કિસ્સાઓમાં અન્ય રાજ્યમાં ફરવા ગયેલા અને પરત ફરેલા લોકો વધારે છે. શહેરમાં સારા પ્રમાણમાં વેકસીનેશન થયું છે એટલે હોસ્પિટલાઈઝેશન આ વખતે જોવા મળી રહ્યું નથી, જે સારી વાત છે. સિવિલ હોસ્પિટલ કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા સક્ષમ છે. સિવિલમાં હાલ પણ 200 બેડ અલગથી કોરોના માટે ફાળવવામાં આવ્યા છે. એ સિવાય તમામ જરૂરી દવાનો સ્ટોક પણ ઉપલબ્ધ છે.

(6:50 pm IST)