ગુજરાત
News of Thursday, 18th November 2021

અમદાવાદમાં મનપા દ્વારા કોરોનાથી થયેલ મૃત્યુના પ્રમાણપત્ર મેળવવા માટેના ફોર્મ વિતરણ શરૂ કરાયા

અરજદારોને ફોર્મ નજીકના સિવિક સેન્ટર ખાતેથી મળશે:જન્મ-મરણ નોંધણી વોર્ડ ઓફિસ અને હેડ ઓફિસમાંથી પણ ફોર્મ મળશે

અમદાવાદ :કેન્દ્ર સરકારે કોરોના દર્દીના મોતને લઈ તૈયાર કરેલી ગાઈડલાઈન રાજ્ય સરકારોને મોકલી આપી છે. જે મુજબ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યાના 30 દિવસમાં થયેલું મૃત્યુ કોરોનાથી થયું ગણાશે આ સાથે કોરોનાથી મૃત્યું પામેલા 95 ટકાથી વધુ મૃતકોના અરજદારો માટે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ જાહેર કરાયેલી રૂપિયા 50 હજારની સહાય મેળવવાનો માર્ગ મોકળો બની ગયો છે.જ્યારે  અમદાવાદ મહાનગરપાલિકામાં કોરોનાથી થયેલા મૃત્યુનું પ્રમાણપત્ર મેળવવા માટેના ફોર્મનું વિતરણ શરૂ કરી દેવાયું છે.

અરજદારોને આ ફોર્મ નજીકના સિવિક સેન્ટર ખાતેથી મળી રહેશે. આ સિવાય જન્મ-મરણ નોંધણી વોર્ડ ઓફિસ અને હેડ ઓફિસમાંથી પણ ફોર્મ મળશે.. આરોગ્ય ભવનની મુખ્ય કચેરી ખાતેથી પણ ફોર્મ મળશે. આ સિવાય www.ahmedabadcity.gov.in પરથી પણ આ ફોર્મ ડાઉનલોડ કરી શકાશે

આ ફોર્મ મેળવી લીધા પછી સૌથી પહેલો સવાલ એ થાય કે હવે પછીની કામગીરી શું હશે.. તો આ પ્રક્રિયા પણ વિગતવાર સમજવાનો પ્રયત્ન કરીએ.. કોરોનાથી મૃત્યું થયું હોય અને પ્રમાણપત્ર ન મળ્યું હોય તો અરજી કરવી પડશે.. MCCD એટલેકે મેડિકલ સર્ટિફિકેટ ઓફ કોઝ ઓફ ડેથના કારણ સામે અસંતોષ હોય તો પરિશિષ્ટ–3 હેઠળ અરજી કરવાની રહેશે. હોસ્પિટલના ડેથ સર્ટિમાં કોરોનાથી મોતનો ઉલ્લેખ ન હોય તો પરિશિષ્ટ-1ની વિગતો રજૂ કરવી પડશે..

અરજદારે પરિશિષ્ટ-1ની વિગતો રજૂ કરી MCCDની નકલ મેળવવાની રહેશે.. સ્મશાનની પહોંચમાં કોરોનાથી મોતનો ઉલ્લેખ ન હોય તો પરિશિષ્ટ-1ની વિગતો રજૂ કરવાની રહેશે. પરિશિષ્ટ-1ની વિગતો રજૂ કરી MCCDની નકલ મેળવવાની રહેશે.

કોરોના દર્દીનું ઘરે મોત થયું હોય તો ડૉક્ટરે કરેલી સારવારની વિગતો રજૂ કરવી પડશે. દર્દીના લેબોરેટરી અને રેડિયોલોજી પરીક્ષણના પુરાવા પણ રજૂ કરવાના રહેશે.. સહાય મેળવવા અરજદારે પોતાનો ઓળખનો પુરાવો રજૂ કરવાનો રહેશે.જે વિસ્તારની હોસ્પિટલમાં મોત થયું હોય તે વિસ્તારની કચેરીમાં ફોર્મ જમા કરાવવાનું રહેશે.

રૂપિયા 50 હજારની સહાય લેવા માટે અરજદારોએ પ્રથમ મેડિકલ સર્ટિફિકેટ ઓફ કોઝ ઓફ ડેથ મેળવવા માટે નિયત ફોર્મમાં અરજી કરવાની રહેશે. આ પ્રમાણપત્ર સ્થાનિક કક્ષાએથી અપાશે. જો આ પ્રમાણપત્રમાં મૃત્યુનું કારણ કોરોના ન હોય તો તેવા કિસ્સામાં અલગ ફોર્મ, જરૂરી દસ્તાવેજો સાથે ભરવાનું રહેશે. રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત સમિતિ તમામ દસ્તાવેજોથી ચકાસણી કરીને કોવિડ-19થી થયેલા મોતનો સત્તાવાર દસ્તાવેજ ઇશ્યૂ કરશે.

(10:56 pm IST)