ગુજરાત
News of Sunday, 19th March 2023

અકસ્માતમાં બ્રેઇનડેડ જાહેર કરતા અંકલેશ્વરના યુવકનું અંગદાન કરીને પરિવારે સાત લોકોને નવજીવન આપ્યું

લિવરનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની ઝાયડસ હોસ્પીટલમાં કરાયું : બંને કિડનીઓનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની હોસ્પીટલમાં કરવામાં આવશે

અંકલેશ્વરના હજાતમાં રહેતો મીકેનીકલ એન્જીનીયર શૈશવ ઉ.વ 24 ખેતીવાડી કરતો હતો. 13 માર્ચના રોજ રાત્રે 8:30 કલાકે પોતાની બુલેટ પર સુણેવ ગામથી પોતાના ગામ હજાત જઈ રહ્યો હતો. ત્યારે તરીયા બસ સ્ટેન્ડ, સાજોદ પાસે તેનું બુલેટ સ્લીપ થઇ જતા, તે બુલેટ પરથી નીચે પડી ગયો હતો અને માથામાં ગંભીર ઈજાઓ થવાથી બેભાન થઇ ગયો હતો. પરિવારજનોએ તેને તાત્કાલિક અંકલેશ્વરમા આવેલ જયાબેન મોદી હોસ્પીટલમાં દાખલ કર્યો હતો. નિદાન માટે CT સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ અને મગજમા સોજો હોવાનું નિદાન થયુ હતું.

 પરિવારજનોએ તેને વધુ સારવાર માટે રાત્રે 11:30 કલાકે સુરતમા આવેલ એઈમ્સ્ સુપર સ્પેશીયાલીટી હોસ્પીટલમાં ન્યુરોસર્જન ડૉ. હિતેશ ચિત્રોડાની સારવાર હેઠળ દાખલ કરી સારવાર શરૂ કરવામા આવી. મગજમાં સોજો વધુ હોવાથી ડોક્ટર દ્વારા ઓપરેશન માટે સલાહ આપવામાં આવી હતી પરંતુ ઓપરેશન પહેલા જ સારવાર દરમિયાન 15 માર્ચના રોજ રાત્રે 2:00 કલાકે શૈશવનું હૃદય બંધ થઇ જતા એને CPR (હૃદય મસાજ) આપીને હૃદયને પાછુ ધબકતું કરવામાં આવ્યું હતું.

 ત્યારબાદ તેની તબિયત બગડતા તા. ૧૭ માર્ચના રોજ ન્યુરોસર્જન ડૉ. મૌલીક પટેલ, ફીઝીશયન ડૉ. રાજેશ રામાણી, કાર્ડિયોલોજીસ્ટ ડો. રીતેશ વેકરીયા અને મેડીકલ ઓફિસર ડૉ. દક્ષા કટારીયાએ શૈશવને બ્રેઈનડેડ જાહેર કર્યો.

વાલીયાના પોલીસ ઇન્સ્પેકટર કરણસિંહ ચુડાસમા અને શૈશવની બહેન નિધીએ ડોનેટ લાઈફના સ્થાપક અને પ્રમુખ નિલેશ માંડલેવાલાનો ટેલીફોનીક સંપર્ક કરી શૈશવના બ્રેઈનડેડ અંગેની જાણકારી આપી ઓર્ગન ડોનેશન કરવાની ઈચ્છા વ્યક્ત કરી.

ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી શૈશવના પિતા ગીરીશભાઈ, માતા મનીષાબેન, બહેન નિધી, તેમજ પરિવારના અન્ય સભ્યોને અંગદાનની સમગ્ર પ્રક્રિયા સમજાવતા જણાવ્યું કે શૈશવ ક્લીનીકલી બ્રેઈનડેડ છે પરંતુ બ્રેઈનડેડ જાહેર કરવા માટે હોસ્પીટલની બ્રેઈન સ્ટેમ ડેથ ડીકલેરેશન કમિટી દ્વારા એપ્નીયા ટેસ્ટ કરી જે તે દર્દીને બ્રેઈનડેડ જાહેર કરેલો હોવો જોઈએ પરંતુ શૈશવના ઇલેક્ટ્રોલાઈટસ નોર્મલ ન હોવાને કારણે એપ્નિયા ટેસ્ટ થઇ શકતો નથી. ઇલેક્ટ્રોલાઈટસ નોર્મલ થાય ત્યારબાદ તેના બંને એપ્નીયા ટેસ્ટ પોઝીટીવ આવે ત્યાર પછી જ અંગદાન થઇ શકે. ત્યારે શૈશવના માતૃશ્રી મનીષાબેને પોતાના હૃદય પર પત્થર મુકીને રડતા રડતા જણાવ્યું કે અમારો દિકરો કલીનીકલી બ્રેઈનડેડ છે ત્યારે તેના બધા જ રીપોર્ટ નોર્મલ થયા પછી, બ્રેઈનડેડ જાહેર કરવા માટેના જે જરૂરી ટેસ્ટ હોઈ તે ટેસ્ટ કરાવીને જેટલા પણ અંગોનું દાન થઇ શકતું હોય તે બધા જ અંગોનું દાન કરાવજો શરીર રાખ જ થઇ જવાનું છે ત્યારે તેના અંગદાનથી કોઈકના લાડકવાયાને નવું જીવન મળશે. શૈશવના ઇલેક્ટ્રોલાઈટસ નોર્મલ થયા પછી તેના બંને એપ્નિયા ટેસ્ટ પોઝીટીવ આવતા અંગદાન માટેની સંમતી આપવામાં આવી. સલામ છે શૈશવના પિતા ગીરીશભાઈ, માતા મનીષાબેન, અને બહેન નિધીને અંગદાનની સંમતી આપવા બદલ. શૈશવના પરિવારમાં તેના માતા પિતા ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે, બહેન નિધી દહેજમા આવેલા દીપક ફાઉન્ડેશન નામની સંસ્થામાં કાઉન્સીલર તરીકે ફરજ બજાવે છે.

પરિવારજનો તરફથી અંગદાનની સંમતી મળતા SOTTOનો સંપર્ક કરવામાં આવ્યો. SOTTO દ્વારા હૃદય સુરતની મહાવીર હોસ્પિટલને, ફેફસાં અમદાવાદની K.D હોસ્પિટલને, લિવર ઝાયડસ હોસ્પીટલને અને બંને કિડનીઓ અમદાવાદની હોસ્પીટલને ફાળવવામાં આવી.

હૃદયનું દાન સુરતની મહાવીર હોસ્પિટલના ડૉ. સંદીપ સિંહા, ડૉ. નીરજ કામત ડૉ. મહેશ વિન્ચુરકર ડૉ. રોહિત શેટ્ટી અને તેની ટીમે, ફેફસાનું દાન અમદાવાદની K.D હોસ્પિટલના ડો. મેનાનદેર, ડૉ. ટીશેકર ઓએસીસ, ડૉ. ભાવિન દેસાઈ, નિખિલ વ્યાસ અને તેમની ટીમે, લિવર અને કિડનીનું દાન ઝાયડસ હોસ્પીટલના ડૉ. આનંદ ખખ્ખર, ડૉ. યશ પટેલ, ડૉ. પ્રથાન જોશી, રાજુ ઝાલા અને તેમની ટીમે સ્વીકાર્યું. જયારે ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુ બેંકના ડો. પ્રફુલ શિરોયાએ સ્વીકાર્યું.

   

(5:30 pm IST)