આણંદ નજીક વિદ્યાનગરમાંથી બે પાન પાર્લર પાસે એસઓજીએ છાપો મારી ઈ-સિગરેટનો જથ્થો ઝડપી પાડયો
આણંદ : આણંદ પાસેની શિક્ષણનગરી વિદ્યાનગરમાં આવેલ બે પાન પાર્લર ખાતે આણંદ એસઓજી પોલીસે છાપો મારી દુકાનમાંથી વિદેશી તેમજ ઈ-સીગારેટનો જથ્થો ઝડપી પાડયો હતો. પોલીસે બંને દુકાનોના સંચાલકો વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આણંદ શહેર પાસે આવેલ શિક્ષણનગરી વિદ્યાનગરમાં આવેલ વ્રજ પાન સેન્ટરમાં પ્રતિબંધિત સીગારેટનું વેચાણ થઈ રહ્યું હોવાની બાતમીનાઆધારે આણંદ એસઓજી પોલીસની ટીમે ગઈકાલે રાત્રિના સુમારે પાન પાર્લર ખાતે ઓચિંતો છાપો માર્યો હતો. પોલીસનેે દુકાનમાંથી વિદેશી સિગારેટના ૮૧ પેકેટ જ્યારે બે પેકેટ ઈ-સીગારેટના મળી આવ્યા હતા. જેથી પોલીસે દુકાન માલિક દિપકભાઈ અશોકભાઈ ભોજવાણી (રહે. આણંદ)ની અટકાયત કરી હતી. ત્યાર બાદ નજીકમાં જ આવેલ લક્ષ્મી પાન સેન્ટરમાં પણ પોલીસે ઓચિંતી તપાસ કરતા દુકાનમાંથી વિદેશી સીગારેટના ૧૨૧ પેકેટ અને ઈ-સીગારેટનું એક પેકેટ મળી આવ્યું હતું. જેથી પોલીસે દુકાનના માલિક વિજયભાઈ અશોકભાઈ નાથાણી (રહે.કરમસદ)ની અટકાયત કરી હતી. એસઓજી પોલીસે બંને દુકાનમાંથી કુલ રૂા.૪૩,૫૦૦નો મુદ્દામાલ કબ્જે લઈ બંને વેપારીઓ વિરુધ્ધ વિદ્યાનગર પોલીસ મથકમાં ગુનો દાખલ કરી વિદ્યાનગર પોલીસને હવાલે કરતા વિદ્યાનગર પોલીસે બંને વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.