સુરત ગુરૂકુળમાં ૭૫ બ્રાહ્મણ બટુકોને યજ્ઞોપવિતઃ પવિત્રતા-ખૂમારી જાળવવા પ્રભુ સ્વામીનો ઉપદેશ
રાજકોટ ગુરુકુળના અમૃત મહોત્સવ નિમિતે આયોજન : આજે સુરતના વેડ રોડ સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે યોજાયેલ સમુહ યજ્ઞોપવિત (બ્રાહ્મણ બટુકો) પ્રસંગની શાષાોકત વિધિની તસ્વીર
રાજકોટ,તા. ૨૦: આજે વેડરોડશ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સુરત ખાતે બ્રાહ્મણ બટુકોને યજ્ઞોપવિત આપવાનો ‘સમૂહ યજ્ઞોપવિત સંસ્કાર સમારોહ' યોજાયો મહંત સ્વામી શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી તથા મહંત સ્વામી શ્રી દેવપ્રસાદદાસજી સ્વામીના આશીર્વાદ સાથે અને સુરત ગુરુકુલના મહંત શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામીના માર્ગદર્શન અનુસાર રાજકોટ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સંસ્થાના ૭૫ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે તેના અમૃત મહોત્સવ ઉપક્રમે આજે ગુજરાત ઉપરાંત રાજસ્થાન , મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ , મહારાષ્ટ્ર, વગેરે રાજયોના ૭૫ બ્રાહ્મણ બટુકોને યજ્ઞોપવિત આપવામાં આવી છે.
રાજકોટ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલના ભૂતપૂર્વ વિદ્યાર્થી શ્રી ઈશ્વરભાઈ તથા અક્ષયભાઇ ધોળકિયાએ પોતાની માતુશ્રીની પ્રસન્નતાર્થે બનાવેલ શ્રીમતિ શારદાબેન અર્જુનભાઈ ધોળકિયા વેલફર ટ્રસ્ટ દ્વારા બાલ બ્રહ્મચારી બ્રાહ્મણ બટુકોને જનોઈ , વસ્ત્રદાન તેમજ તેમના પરિવારના સભ્યોને ભોજન પ્રસાદનો લાભ આપેલ.
આ પ્રસંગે શ્રી પ્રભુ સ્વામીએ સંસ્કૃતિના આધાર સ્થંભ બાલ બ્રહ્મચારી ભૂદેવોને કહ્યું હતું કે આજે તમારો બીજો જન્મ કહેવાય. સુતરના ત્રણ તાંતણાની જનોઈ ધારણ કરવાથી તમે આજે પવિત્ર બન્યા છો. આ પવિત્રતાને જાળવજો. જે મુખે તમે વેદના મંત્રો , ભાગવત આદિ શાસ્ત્રોની કથાઓ , લગ્ન , ખાતમુહૂર્તો , અંત્યેષ્ટિ, શ્રાદ્ધ , પિતૃતર્પણ વગેરે કરાવવાના છો તે મુખને ક્યારે તમાકુ તેમજ બીજા કેફી પદાર્થોથી અપવિત્ર ન કરશો.
આજીવિકા ગમે તે કરીએ પરંતુ આપણું બ્રાહ્મણત્વને ન ગુમાવવીએ એવી ખુમારી સાથે જીવન જીવવાનો આજે સંકલ્પ કરજો.
આયોજનને સફળ બનાવવા શ્રી લાલજીભાઈ તોરી, મનોજભાઈ તેરૈયા, ભગવાનજીભાઇ કાકડીયાના માર્ગદર્શન અનુસાર અશ્વનીકુમાર સત્સંગ મંડળના યુવાનો તથા મહિલાઓ સારી સેવા બજાવેલ.