અમદાવાદના વટવામાં લિવ ઇન રિલેશનશીપમાં રહેતી મીહલાની અજાણ્યા શખ્સો છરીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારીને નાશી છૂટ્યા
અમદાવાદઃ શહેરના વટવા વિસ્તારમાં દેહવેપાર કરતી મહિલાને કોઈ અજાણ્યા શખ્સો એ છરીના ઘા મારી ફરાર થઈ ગયા હતા. આ મહિલાને ગંભીર ઈજાઓ થતા તેને તાત્કાલિક સારવાર માટે નજીકના હોસ્પિટલ ખસેડવામાં આવી છે. જો કે, બીજા દિવસે તેની તબીયત વધારે ખરાબ થતા તેને એલજી હોસ્પિટલ લઈ જતા ત્યા હાજર તબીબે તેણીને મૃત જાહેર કરી હતી. આ અંગે ઈસનપુર પોલીસે ફરાર આરોપીઓ સામે ગુનો નોંધી તેઓની શોધખોળ હાથ ધરી છે.
મૂળ કલકત્તાની રહેવાસી અને અમદાવાદના વટવા વિસ્તારમાં એક મહિલા તેના મિત્ર સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહેતી હતી. જ્યાં નારોલ સર્કલ ખાતે દેહવ્યાપારનું કામ કરતી હતી. 17 જુલાઈના રોજ રાતે 8 વાગ્યાની આસપાસ નારોલ સર્કલ નજીક ઉભી હતી ત્યારે બાઇક પર બે અજાણ્યા શખ્સ આવ્યા હતા અને તીક્ષ્ણ હથિયારના ઘા મારી ફરાર થઇ ગયા હતા. ઘટના અંગે તેના મિત્રને જાણ કરતા તે આવી મહિલાને સારવાર માટે ખાનગી દવાખાનામાં લઈ ગયો હતો જ્યાં તેને પાટા પિંડી કરી ઘરે લઇ ગયો હતો.
બીજા દિવસે તેને દુઃખાવો ઉપડતા અન્ય ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી અને વટવા પોલીસ સ્ટેશનમાં મચ્છી કાપતા છરો વાગતા ઇજા થઇ હોવાનું પોલીસ સમક્ષ લખાવ્યું હતું. ત્યાંથી વધુ સારવાર માટે એલજી હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં તેને ડોકટરે મૃત જાહેર કરી હતી. ડોકટરે છરીના ઘા વાગ્યા હોવાનું જણાવ્યુ હતું. જેથી ઈસનપુર પોલીસે તેના મિત્રને પૂછતાં સમગ્ર હકીકત બહાર આવી હતી. પોલીસે બે અજાણ્યાં શખ્સ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.