ગોધરાના BJPનાં ધારાસભ્યનું બિલકીસ બાનો કેસને લઈ વિવાદિત નિવેદન : કહ્યું – તમામ લોકો બ્રાહ્મણ છે અને સારા સંસ્કારવાળા
રાઉલજીએ જેલમાંથી મુક્ત થનારા 11 આરોપીઓની ફૂલહાર અને મીઠાઈથી સ્વાગત કરાનારાઓનું પણ સમર્થન કર્યું
ગોધરા: 2002માં ગુજરાત કોમી રમખાણો દરમિયાન બિલ્કીસ બાનો પર સામૂહિક દુષ્કર્મ થયો હોવાની ઘટના સામે આવી હતી. ત્યારે રાજ્ય સરકારની એક પેનલનો ભાગ અને ભાજપના ધારાસભ્યએ ગુરુવારે જણાવ્યું કે, 2002માં ગુજરાત કોમી રમખાણો દરમિયાન બિલ્કીસ બાનો કેસના કેટલાંક ગુનેગારો સારા સંસ્કારી કે મૂલ્યો ધરાવતા બ્રાહ્મણો છે. શક્ય છે કે તેઓ પોતાની ભૂતકાળની પારિવારીક પ્રવૃત્તિઓના કારણે આ કેસમાં સંડોવાયા હોય. આવું કહીને તેઓએ આ કેસમાં દોષિત ઠરેલા તમામ 11 આરોપીઓને માફ કરવાની ભલામણ કરી હતી.
ગોધરાના બીજેપી ધારાસભ્ય સીકે રાઉલજીએ કહ્યું કે, બિલકિસના રેપ માટે દોષીત ઠેરવેલા અને ગુજરાત સરકાર દ્વારા અનેક વર્ષો પછી જેલમાંથી મુક્ત કરેલા 11 લોકો બ્રાહ્મણ છે અને સારા સંસ્કારવાળા છે. તે ઉપરાંત રાઉલજીએ જેલમાંથી મુક્ત થનારા 11 આરોપીઓની ફૂલહાર અને મીઠાઈથી સ્વાગત કરાનારાઓનું પણ સમર્થન કર્યું હતું.
રાઉલજી ગુજરાત સરકારની પેનલમાં ભાજપના તે બે નેતાઓમાંના એક હતા જેમણે સર્વસંમતિથી બળાત્કારીઓને મુક્ત કરવાનો નિર્ણય લીધો હતો. બિલકીસ બાનો કેસના એક દોષિતે ‘માફી’ માંગવા માટે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો. તે પછી કોર્ટે કેસને રાજ્ય સરકારને સોંપી દીધો અને તે પછી આરોપીઓને છોડવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો હતો.
રાઉલજીને પત્રકારને કહેતા સાંભળવામાં આવ્યા હતા, “મને ખબર નથી કે તેણે કોઈ ગુનો કર્યો છે કે નહીં, પરંતુ ગુનો કરવાનો ઈરાદો હોવો જોઈએ.” તેમણે કહ્યું, “તેઓ બ્રાહ્મણ છે અને બ્રાહ્મણો સારી રીતભાત માટે જાણીતા છે. કદાચ કોઈનો ઈરાદો તેમને ‘ફસાવવા’ અને સજા કરવાનો ખરાબ ઈરાદો હતો. તેઓ (ગુનેગારો) જેલમાં હતા ત્યારે સારું વર્તન કરતા હતા.” ધારાસભ્યનું આ ઈન્ટરવ્યુ વાયરલ થઈ રહ્યું છે.
જણાવી દઈએ કે આ બળાત્કારીઓને સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પરથી પીએમ નરેન્દ્ર મોદીની મહિલા સશક્તિકરણની હિમાયતના થોડા કલાકો બાદ મુક્ત કરવામાં આવ્યા હતા. બાદમાં સામે આવેલા વીડિયોમાં જમણેરી જૂથના કેટલાક સભ્યો આ ગુનેગારોનું સ્વાગત કરતા જોવા મળ્યા હતા.
આ દરમિયાન કેસને લઈને ચર્ચામાં આવેલી ગુજરાત સરકારે પોતાના નિર્ણયનો બચાવ કરતા કહ્યું છે કે તેણે 2008માં દોષિત ઠેરવવાના સમયે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ 1992ની નીતિ અનુસાર રિલીઝ અરજી પર વિચાર કર્યો છે. જો કે, બળાત્કાર અને હત્યાના દોષિતો માટે ‘આવી છૂટ’ પર પ્રતિબંધ મૂકતા હાલના નિયમોનું ઉલ્લંઘન કરીને આ પગલાએ મોટાભાગના લોકોને આશ્ચર્યચકિત કર્યા છે.
જણાવી દઈએ કે, વર્તમાનમાં સરકારની માફી નીતિ પ્રમાણે બળાત્કાર અને મર્ડર કેસના આરોપીઓને માફી આપી શકાય નહીં. જોકે, ગુજરાત સરકારે 7થી વધારે લોકોને નિર્દયતાપૂર્વક મોતને ઘાટ ઉતારનાર અને સામૂહિક બળાત્કાર કરીને રૂંહ કાપી ઉઠે તેવી હિચકારી ઘટનાને અંજામ આપનાર લોકોને છોડીને એક ખતરનાક સંદેશ ગુજરાતની જનતાને આપી દીધો છે.
ગુજરાત સરકારના આ નિર્ણયની વિરોધ પક્ષોએ આકરી ટીકા કરી છે. આ પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ગુનેગારની મુક્તિ ભાજપની મહિલાઓ પ્રત્યેની ખરાબ માનસિકતા દર્શાવે છે. રાહુલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા ટ્વીટ કરીને સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા છે. રાહુલ ગાંધીએ લખ્યું કે ઉન્નાવ – ભાજપના ધારાસભ્યને બચાવવા માટે કામ કરો, કઠુઆ – બળાત્કારીઓના સમર્થનમાં રેલી, હાથરસ – બળાત્કારીઓના પક્ષમાં સરકાર અને ગુજરાત – બળાત્કારીઓની મુક્તિ અને સન્માન! ગુનેગારોનું સમર્થન મહિલાઓ પ્રત્યે ભાજપની ક્ષુદ્ર માનસિકતા દર્શાવે છે. આવી રાજનીતિ કરવાથી કોઈ શરમ પણ આવતી નથી, વડાપ્રધાન?
કાબિલકીસ કેસમાં રાહુલ ગાંધી પીએમ મોદીને ઘેરી રહ્યાં છે. તેમણે ગઈ કાલે એક ટ્વીટ પણ કર્યું હતું, જેમાં લખ્યું હતું કે 5 મહિનાની ગર્ભવતી મહિલા પર બળાત્કાર કરનારા અને તેની 3 વર્ષની બાળકીની હત્યા કરનારાઓને ‘આઝાદી કે અમૃત મહોત્સવ’ દરમિયાન છોડી દેવામાં આવ્યા છે. નારી શક્તિની વાત કરનાર દેશની મહિલાઓને શું સંદેશ આપી રહી છે? વડા પ્રધાન આખો દેશ તમારા કથન અને કાર્યોમાં તફાવત જોઈ રહ્યો છે.
તમને જણાવી દઈએ કે, ગુજરાત સરકારે માફી નીતિ હેઠળ તમામ દોષિતોને મુક્ત કરવાની મંજૂરી આપી દીધી છે. મુંબઈની વિશેષ સીબીઆઈ કોર્ટે 21 જાન્યુઆરી 2008ના રોજ બિલ્કીસ બાનો પર સામૂહિક બળાત્કાર અને તેના પરિવારના સાત સભ્યોની હત્યા કરવા બદલ 11 દોષિતોને આજીવન કેદની સજા ફટકારી હતી. પાછળથી બોમ્બે હાઈકોર્ટે તેમની સજાને માન્ય રાખી હતી.