અમૂક પ્રધાનો ઓછું ભણેલા કેમ ? યમલ વ્યાસ કહે છે કોંગી રાજમાં પૂરતી ભણવાની સુવિધાન ન હતી
ભાજપના મુખ્ય પ્રવકતાએ આપ્યુ 'રસપ્રદ' કારણ
રાજકોટ તા. ૨૦ : ગુજરાતની નવી સરકારમાં અમુક પ્રધાનો ધો. ૧૦થી ઓછું ભણેલા હોવા છતાં મહત્વનું સ્થાન મળ્યું છે. તેમના અભ્યાસ બાબતે ભાજપના મુખ્ય પ્રવકતા શ્રી યમલ વ્યાસે વિચારતા થઇ જાય તેવું કારણ આપ્યું છે.
શ્રી યમલ વ્યાસે ખાનગી સમાચાર સંસ્થાના સંવાદદાતા સાથેની વાતચીતમાં આ અંગેના પ્રશ્નના જવાબમાં જણાવેલ કે, કેટલાક પ્રધાનોનું ભણતર મર્યાદિત છે. તે મોટાભાગે ૪૫ વર્ષથી વધુ વયના અને ગ્રામીણ ક્ષેત્રના છે. ભણતર મર્યાદિત હોવા છતાં કોઠાસુઝવાળા છે. તેમની ભણવાની ઉંમર હતી તે વખતે કોંગ્રેસનું શાસન હતું. કોંગ્રેસના શાસનમાં તેમને વધુ ભણવાની સુવિધા ન મળી હોવાથી વધુ ભણી શકયા નહિ હોય !
અત્રે ઉલ્લેખનીય છે કે, શ્રી યમલ વ્યાસ (ચાર્ટડ એકાઉન્ટન્ટ) ભાજપના પ્રભાવક પ્રવકતા છે. રાજકીય ચર્ચામાં ધારદાર સવાલોના વ્યુહાત્મક જવાબો આપવા માટે જાણીતા છે.