યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના દિવસે માતાજીના દર્શન કરતા હજારો માઇ ભક્તો નજરે પડ્યા
મહેસાણા: યાત્રાધામ અંબાજી એક અઠવાડીયાથી ભાદરવી પૂનમ મહામેળાની અસમંજસ વચ્ચે લાખો માઈભક્તો પગપાળા આવી જગત જનની માં અંબાના ચરણોમાં શીષ ઝુકાવી નવરાત્રિના પાવન પર્વમાં પોતાના ગામ અને ઘરે પધારવાનું આમંત્રણ પાઠવી પ્રસન્ન મને પોતાના વતન પરત ફર્યા. શ્રધ્ધાળુઓની સુવિધાઓ માટે વહિવટી તંત્ર અને પોલીસ ખડેપગે ફરજ ઉપર તૈનાત કરાયા છે. આજે ભાદરવી પૂનમ હોઈ લાખો પગપાળા આવતાં માઈભક્તો માંડવડીઓ સાથે હાથમાં લાલ ધજાઓ લઈ નાચતાં-કૂદતાં દરબાદમાં પહોંચશે અને માંના ચરણોમાં શીષ ઝુકાવશે. બે-ત્રણ દિવસથી યાત્રિકોના પ્રવાહમાં નોંધપાત્ર વધારો જોવા મળતો હતો. ભાદરવી ચૌદશે રાજકોટથી છેલ્લા ૨૦ વર્ષથી જય અંબે પગપાળા સંઘ અંબાજી આવે છે. આ સંઘની ખૂબી એ હોય છે કે સંઘમાં આવતા તમામ પુરુષો-મહિલાઓ અને નાના-નાના બાળકોને એક જ કલરનો કલાત્મક ડીઝાઈનવાળો હોય છે. દર વર્ષે અલગ અલગ ડ્રેસ પરિધાન કરીને આ સંઘ માતાજીને ધજા ચઢાવે છે. ચાચરચોકમાં માતાજીના ગરબા રમે છે. એક જ ડ્રેસમાં હોવાથી આ સંઘ ભારે આકર્ષણ જમાવે છે. આ ઉપરાંત આજે પણ હજારો ધજાઓ માતાજીના શિખરે ચઢાવવામાં આવી હતી. ભાદરવી પૂનમના દિવસો દરમિયાન દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા દર્શન માટેની અને પ્રસાદી માટેની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. પાટણ સિધ્ધહેમ સેવા કેમ્પ દ્વારા દોઢ લાખથી વધુ માઈભક્તોને ભોજનરૃપી પ્રસાદ પીરસ્યો હતો. આ સંઘની સેવા ખૂબ જ ઉમદા રહી હતી. આ વખતે મહામેળો બંધ હોવાથી ચારથી પાંચ જેટલા જ સેવા કેમ્પોને મંજૂરી આપવામાં આવી હતી.