વિજયભાઇ રૂપાણીને પૂર્વ મુખ્યમંત્રી તરીકે નિયમ મુજબ ગાંધીનગરમાં બંગલો ફાળવવામાં આવશેઃ કેશુભાઈ પટેલનો જ સેક્ટર 19નો બંગલો આપવામાં આવે તેવી શક્યતા
સત્તાવાર રીતે તેમનું નિવાસ સ્થાન ખાલી કરીને ટૂંક સમયમાં સેકટર 19 ખાતેના નિવાસસ્થાને પ્રસ્થાન કરશે
ગાંધીનગરઃ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને એકાએક હટાવી દેવામાં આવ્યા બાદ હવે રૂપાણીને પૂર્વ મુખ્યમંત્રી તરીકે નિયમ મુજબ ગાંધીનગરમાં બંગલો ફાળવવામાં આવશે. જેમાં રૂપાણીને કેશુભાઈ પટેલનો જ સેક્ટર 19નો બંગલો આપવામાં આવે તેવી શક્યતા છે. રૂપાણીનું ઘર આનંદીબેન પટેલની પાછળ જ આવી જશે.
વિજય રૂપાણીના અંગત વ્યક્તિએ નવા બંગલાનું નિરીક્ષણ કર્યું
સચિવાલયના સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગીય કેશુભાઈ પટેલનું સેકટર 19 ખાતે આવેલું સરકારી નિવાસ સ્થાન ફાળવવામાં આવે તેવા સંકેત મળી રહ્યા છે.
આ મામલે માર્ગ–મકાન વિભાગના અધિકારીઓએ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે પરામર્શ કરી લીધો છે અને આ બંગલાનું નિરીક્ષણ વિજય રૂપાણીના અંગત વ્યક્તિ દ્વારા થઇ ચૂકયું છે. સત્તાવાર રીતે તેમનું નિવાસ સ્થાન ખાલી કરીને ટૂંક સમયમાં સેકટર 19 ખાતેના નિવાસસ્થાને પ્રસ્થાન કરશે.
બંધારણીય નિયમો પૂર્વ CMને ગાંધીનગરમાં બંગલો મળે છે
બંધારણીય નિયમો મુજબ મુખ્યમંત્રી પદ પરથી દૂર થયા પછી તે પૂર્વ મુખ્યમંત્રીને ગાંધીનગરમાં ખાસ બંગલો ફાળવવામાં આવે છે તે મુજબ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીઓને સેકટર 19માં K ટાઈપના બંગલા આપવામાં આવ્યા છે.