અમદાવાદ જિલ્લામાં વાહકજન્ય રોગ નિયંત્રણ માટે હાઉસ ટુ હાઉસ ફીવર સર્વેલન્સ અને પોરાનાશક કામગીરીની મેગા ડ્રાઇવ હાથ ધરાઇ
અમદાવાદ જિલ્લાના 466 ગામમાં 772 ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી : સ્થળ પર જ પોરાનો નિકાલ કરવામાં આવ્યો
(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : રાજ્યમાં હાલની વરસાદની પેટર્નને ધ્યાને લેતાં વાહક જન્ય રોગો જેવા કે , મેલેરીયા , ડેન્ગ્યુ, ચીકનગુનિયા જેવા રોગોના કેસો વધવા પામેલ છે . જે અન્વયે વાહક જન્ય રોગો અને મચ્છર ઉત્પત્તિ અટકાવવા માટે તા .20/09/2021ને સોમવારના રોજ રાજ્યના તમામ જિલ્લામાં ખાસ ઝુંબેશરૂપે કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત અમદાવાદ જિલ્લાના 466 ગામમાં એક સાથે 40 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, 215 પેટા આરોગ્ય કેન્દ્રના વિસ્તારમાં 40 મલ્ટી પર્પઝ હેલ્થ સુપરવાઇઝર , 40 આયુષ તબીબી અધિકારી , 40 તબીબી અધિકારી, તાલુકા હેલ્થ સુપરવાઈઝરો, તાલુકા હેલ્થ અધિકારીઓ, જિલ્લા મેલેરીયા અધિકારીના મોનીટરીંગ અને સુપરવિઝન હેઠળ 916 ટીમ દ્વારા હાઉસ ટુ હાઉસ ફીવર સર્વેલન્સ તેમજ પોરાનાશક કામગીરીની મેગા ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી.
અમદાવાદ જીલ્લાની કુલ વસ્તી 1667608 માંથી 1299324વસ્તી અને 277935 ઘરોમાંથી 229393 ઘરો આવરી લેવામાં આવ્યા હતાં. સર્વેલન્સ દરમિયાન 925 પોઝિટિવ પાત્રો મળ્યા હતા જેનો કર્મચારીઓ દ્વારા દવા નાખીને સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો. સર્વેલન્સ ના પહેલા દિવસે જે ઘર અને વસ્તી બાકી રહી ગયેલ છે તે બીજા દિવસે આવરી લેવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ જીલ્લામાં ઝુંબેશમાં તમામ આરોગ્ય કર્મચારીઓ જેવા કે 180 મ.પ.હે.વ. 160 એફ.એચ.ડબલ્યુ, 90 સી.એચ.ઓ. તેમજ 1189 આશા બહેનો અને આશા ફેસીલીટર દ્વારા સઘન કામગીરી કરવામાં આવી હતી તેમ જિલ્લા મેલેરીયા અધિકારી નરેન્દ્ર સિંહ રાઠોડે જણાવ્યું હતું.