ગુજરાતમાં નવા 20 લાઇટ હાઉસ સ્થળને ટુરિસ્ટ ડેસ્ટીનેશન તરીકે વિકસાવવામાં આવશે :કેન્દ્રીયમંત્રી સર્બાનંદ સોનોવાલ
કચ્છના રાવળપીર માંડવી ખાતે આવેલા નવનિર્મિત લાઇટ હાઉસનું લોકાપર્ણ કરતા કેન્દ્રિય મંત્રી સર્બાનંદ સોનોવાલ
કચ્છના રાવળપીર માંડવી ખાતે આવેલા નવનિર્મિત લાઇટ હાઉસનું લોકાપર્ણ કેન્દ્રિય મંત્રી સર્બાનંદ સોનોવાલના હસ્તે કરાયું હતું. કેન્દ્ર સરકારના લાઇટ હાઉસીસ અને લાઇટ શિપ્સ વિભાગ દ્વારા દરિયા કિનારાના વિસ્તારોમાં અનેક સુરક્ષાના અને વિકાસના કામો કરવામાં આવે છે .
જે અન્વયે રૂ.૪ કરોડના ખર્ચે માંડવીથી નજીક આવેલા રાવળપીર મંદીર તીર્થસ્થાન નજીક ૩૧ મીટર ઉંચા તેમજ અદ્યતન તકનીક સાથેના લાઇટ હાઉસનું નિર્માણ કરવામાં આવ્યું છે જે દરિયાઇ માર્ગે પ્રકાશ પાડીને જહાજોનું માર્ગદર્શન કરશે.
લાઇટ હાઉસ સ્થળને ટુરિસ્ટ ડેસ્ટીનેશન(Tourist Destination) તરીકે વિકસાવવામાં આવ્યું છે. આવી જ રીતે ત્રણ અન્ય સ્થળો વેરાવળ, દ્વારકા તેમજ ગોપનાથ લાઇટ હાઉસ નિમાર્ણધીન છે. આ ત્રણ નવા મળી કુલ ૨૦ લાઇટ હાઉસને ટુરિસ્ટ ડેસ્ટીનેશન તરીકે ગુજરાતમાં વિકસાવવામાં આવશે. આવા લાઇટ હાઉસ થકી પ્રવાસીઓની સંખ્યામાં વધારો થશે.
જેમાં મંગળવારે દીનદયાળ પોર્ટ કંડલા ખાતે રૂ.૨૭૭ કરોડના ખર્ચે કેન્દ્રીય મંત્રી સર્વાનંદ સોનોવાલના હસ્તે વિવિધ વિકાસ પરિયોજનાઓનું ખાતમુર્હુત કરવામાં આવ્યુ હતુ ત્રણ દિવસીય મુલાકાત દરમ્યાન કેન્દ્રીય મંત્રીએ સુરક્ષા તથા પોર્ટ વપરાશકારોની મુશ્કેલી અંગે વિવિધ બેઠકો પણ કરી હતી.
દેશના જળમાર્ગોની માળખાકીય સુવિધાઓ વધારી બંદરીય વ્યાપાર ક્ષેત્રના વિકાસ માટે કેન્દ્ર સરકાર પ્રતિબદ્ધ હોવાનુ જણાવી દીનદયાળ પોર્ટ કંડલા- કચ્છ ખાતે રૂ.૨૭૭ કરોડના ખર્ચે ચાર જેટલી વિવિધ માળખાકીય સુવિધાઓ વધારતી યોજનાનુ ખાતમુહુર્ત કરવામાં આવ્યુ હતુ.
કચ્છના પ્રવાસ દરમ્યાન તેમણે વધુમાં જણાવ્યું હતુ કે, રાષ્ટ્રીય ગતિ શક્તિ યોજના અંતર્ગત દરિયાઈ વ્યાપાર ક્ષેત્ર સાથે દેશના ૧૨ મહાબંદરો સાથે સંકળાયેલી માળખાકીય સુવિધાઓ પૂર્ણ કરવા સરકાર મક્કમ છે. તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રૂ.૧૦૦ લાખ કરોડ ખર્ચ કરવાનું મહા અભિયાન હાથ ધર્યું છે. તેમણે દીનદયાળ પોર્ટ કંડલાને દેશનું નંબર વન મહાબંદર ગણાવ્યું હતું. કચ્છના ત્રણ દિવસમાં પ્રવાસ દરમ્યાન તેઓએ કંડલા પોર્ટ સહિત તેમના ક્ષેત્રના વિવિધ ઓદ્યોગીક એકમોની મુલાકાત સાથે મહત્વની બેઠકો યોજી હતી