ગુજરાત
News of Friday, 20th November 2020

સુરતમાં હાલના તબક્કે કર્ફ્યુ નહીં લાદવા માટે તંત્ર મક્કમ

અમદાવાદ બાદ સુરતમાં સૌથી વધુ કોરોનાના કેસ : નિયંત્રણ નહીં પણ માસ્ક સહિતની તકેદારી રાખવા અપીલ

સુરત, તા. ૨૦ : કોરોનાના વધતા કેસ છતાંય સુરતમાં હાલ કોઈ પ્રકારનો કરફ્યુ ન લગાવવાની જાહેરાત મ્યુ. કમિશનર બંછાનિધી પાનીએ કરી છે. આજે મ્યુ. કમિશનરે શહેરના પોલીસ કમિશનર અજય તોમર સાથે મિટિંગ કરી હતી, જેમાં લોકોની ભીડ ઓછી થાય અને કોરોના કઈ રીતે કાબૂમાં લઈ શકાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. મ્યુ. કમિશનરે જણાવ્યું હતું કે, હાલ સુરતમાં કોઈ કરફ્યુ નહીં આવે, પરંતુ લોકો માસ્ક પહેરે તે ખૂબ જ જરુરી છે.

હાલ સમગ્ર ગુજરાતમાં અમદાવાદ બાદ સુરતમાં સૌથી વધુ નવા કેસો રોજેરોજ સામે આવી રહ્યા છે. વળી, એક્ટિવ કેસની સંખ્યામાં પણ સુરત અમદાવાદ બીજા ક્રમે આવે છે. સુરતમાં પરપ્રાંતિયો તેમજ ગુજરાતના અન્ય હિસ્સામાં રહેતા લોકોની સંખ્યા પણ મોટી હોવાથી શહેરમાં કાયમ મોટાપાયે અવરજવર પણ રહેતી હોય છે. શહેરના ટેક્સ્ટાઈલ અને ડાયમંડ માર્કેટ પણ દિવાળીના વેકેશન બાદ ખૂલી ગયા છે, ત્યારે કોરોના પ્રસરે નહીં તે માટે સાવચેતી વધુ જરુરી બની છે.

અમદાવાદમાં કોરોનાને નિયંત્રણમાં કરવા ફરી સરકારે દોડધામ શરુ કરી દીધી છે, ત્યારે સુરત તેમજ રાજકોટમાં પણ અમદાવાદની માફક નાઈટ કરફ્યુ અમલી બનાવાશે તેવી જોરદાર અટકળો શરુ થઈ હતી. સુરતમાં કરફ્યુ નાખવાનો નિર્ણય કોર કમિટિમાં લેવાશે તેવું પણ મનાઈ રહ્યં હતું. જોકે, હાલ તો મ્યુ. કમિશનરે આવું કોઈપણ પગલું લેવાનો ઈનકાર કરી દીધો છે.

સુરત જિલ્લામાં ગઈકાલે ૧૯૫ નવા કેસ નોંધાયા હતા, જ્યારે અમદાવાદમાં ગઈકાલે નોંધાયેલા નવા કેસોનો આંકડો ૨૩૦ જેટલો હતો. આમ, અમદાવાદ અને સુરત વચ્ચે નવા કેસોની સંખ્યામાં ખાસ ફરક નથી દેખાઈ રહ્યો. વળી, અમદાવાદની સરખામણીએ સુરતમાં પ્રાઈવેટ હોસ્પિટલોની સંખ્યા પણ ઓછી છે. તેવામાં તકેદારીના ભાગરુપે હવે સુરતમાં પણ નિયંત્રણો મૂકાય તેવી શક્યતા છે.

સુરતમાં હાલ ૧૨,૪૧૩ લોકો હોમ ક્વોરન્ટાઈનમાં છે, અને કુલ ૮૭૩ લોકોના અત્યારસુધી મોત થઈ ચૂક્યા છે. સુરતમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે, ત્યારે અહીંના વાલીઓએ પણ ૨૩મીથી સ્કૂલો ખોલવાના સરકારના નિર્ણય સામે જોરદાર વિરોધ કરી સ્કૂલ બંધનું એલાન આપ્યું હતું. જોકે, હાલ પૂરતું સરકારે આખાય રાજ્યમાં સ્કૂલો ખોલવાનું મોકૂફ રાખ્યું છે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદની માફક સુરતમાં પણ દિવાળીના તહેવારોમાં બજારોમાં જોરદાર ભીડ જોવા મળી હતી, અને માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમના લીરેલીરા ઉડ્યા હતા. ચોમાસા દરમિયાન પણ સુરતમાં કોરોના બેફામ બન્યો હતો, અને દર્દીઓની સંખ્યામાં વિક્રમી ઉછાળો આવ્યો હતો. જે સ્થિતિ કાબૂમાં કરવામાં ઘણો સમય લાગી ગયો હતો.

(7:34 pm IST)