ગુજરાત
News of Saturday, 21st November 2020

કર્ફ્યુનો અમલ રાત્રે 12 થી સવારના 9 સુધીનો રાખવા હોટલ, બેન્કવેટ કે રેસ્ટોરન્ટ એસો, ની મુખ્યમંત્રી રૂપાણીને રજુઆત

હોટલ, બેન્કવેટ કે અન્ય રેસ્ટોરન્ટ રાત્રીના સમયે શરૂ થતા હોય કર્ફ્યુનું પાલન કરવામાં નુકશાન :સવારે 9 સુધી છૂટ અપાય તો પાયાની જરૂરિયાતોને મુશ્કેલી નહીં પડે

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના કહેરને નાથવા સરકાર દ્વારા વિવિધ પગલાઓ લેવાઈ રહ્યાં છે રાજ્યમાં મોટા શહેરોમાં રાત્રી કર્ફ્યુનો અમલ શરૂ કરાયો છે ત્યારે હોટલ, બેન્કવેટ કે રેસ્ટોરન્ટ એસોસિએશન દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રજૂઆત કરાઈ છે કે સરકાર દ્વારા લેવાયેલા પગલાઓને અમારું સંપૂર્ણ સમર્થન છે. પરંતુ અમને કેટલીક વ્યાજબી તકલીફો પડી રહી છે તે અંગે યોગ્ય મદદ કરવામાં આવે.

હાલમાં કરફ્યુનો સમય રાત્રે 9 કલાકથી શરૂ થાય છે. જયારે હોટલ, બેન્કવેટ કે અન્ય રેસ્ટોરન્ટ રાત્રીના સમયે તો શરૂ થતા હોય છે. આ સંદર્ભે અમને કર્ફ્યુનું પાલન કરવામાં ખૂબ જ નુકસાની વેઠવી પડે તેમ છે. તો આ સમય મર્યાદાને રાત્રે 12 થી સવારે 9 સુધી કરવાથી અમોને રાહત મળે અને સરકારનો કરફ્યુનો હેતુ પણ જળવાઈ રહેશે. જો કરફ્યુનો સમય સવારે 6 ને બદલે સવારે 9 સુધીનો કરવામાં આવે તો અન્ય કોઈ પાયાની જરૂરિયાતોને અસર થાય એમ નથી. કારણ કે આ બધી ચીજવસ્તુઓ જેવી કે દૂધ, શાકભાજીને છૂટ મળેલ જ છે. તેથી કર્ફ્યુંનો સમય વધારવામાં કોઈ મુશ્કેલી ન થશે તેમ અમારું માનવું છે

રાત્રીના સમયે સુરત મહાનગરપાલિકાનું દબાણ ખાતુ કાર્યરત હોતું નથી. કારણ કે સાંજે 6 કલાક પછી મહાનગરપાલિકાનો સમય પૂર્ણ થઇ જાય છે. ત્યારબાદ પોલીસ ડિપાર્ટમેન્ટ લારી-ગલ્લા અને ફૂડ ટ્રક ચલાવનારા પર કાર્યવાહી કરતા હોય છે. અમારું એવું માનવું છે કે આ બધા રોડ પર / ફૂટપાથ પર ગેરકાયદેસર રીતે ધંધો કરે છે. અને સૌથી વધારે કોરોનાનો ફેલાવો ચાહની લારીઓ પર, પાનના ગલ્લાઓ પર સિગરેટ, માવા, તમાકુના ગુટખા, જ્યાં-ત્યાં થુંકવાથી અને ખાણીપીણીના ફૂડ ટ્રકસ પર ભીડના કારણે રોગચાળાનો ફેલાવો થાય છે. તેઓની પાસે હાથ ધોવા માટે પાણીની વ્યવસ્થા હોતી નથી. તેઓ પાસે સોશ્યલ ડિસ્ટન્સિંગની પણ કોઈ વ્યવસ્થા હોતી નથી. આ બધી જગ્યાઓ પર રાત્રિ સમયે ભીડભાડ થાય છે. તેના કારણે હોટલ ઉદ્યોગ બદનામ થાય છે અને તેનું નુકસાન ભોગવવું પડે છે.

હોટલ ઉદ્યોગ અનેક પ્રકારના જુદા જુદા ટેક્સ ભરી દેશના વિકાસ માટે ફાળો અને યોગદાન આપે છે. તો હોટલ ઉદ્યોગનું એવું માનવું છે કે કરફ્યુનો સમય રાત્રે 12 થી સવારે 9 સુધીનો કરવો અને સાથે સાથે શહેરના દરેક ઝોનમાં આવેલ લારીઓ અને ફૂડ ટ્રકને અમર્યાદિત સમય એટલે કે કોરોના કાળ સુધી જપ્ત કરી કોરોનાને કંટ્રોલ કરવો જોઈએ.

(10:56 pm IST)