ગુજરાત
News of Thursday, 10th June 2021

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 35 દિવસની સારવાર બાદ નવજાત શિશુએ ત્રણ- ત્રણ બીમારીને મ્હાત કરી

જન્મના 42 માં કલાકે નવજાત બાળકીનો કોરોના રીપોર્ટ પોઝિટિવ: નાના આંતરડાના બે ટૂકડાની સફળતાપૂર્વક સર્જરી : જન્મના 23માં દિવસે માતાએ ખોળામાં લઇ પ્રથમ વખત સ્તનપાન કરાવ્યું

અમદાવાદ સિવિલ હોસ્પિટલની સારવાર ફરી રંગ લાવી છે , બાળરોગ સર્જરી વિભાગમાં નાના આંતરડામાં જટીલ તકલીફથી પીડાતી નવજાત શિશુને દાખલ કરવામાં આવી હતી. મૂળ મહેમદાબાદની દિકરીના નાના આંતરડામાં બે ટૂકડા થયેલા હોવાના કારણે સ્તનપાનમાં તકલીફ પડી રહી હતી. બાળકીની માતા તકલીફ જોતા બાળકીના જીવવાની આશા છોડી ચૂકી હતી. વળી જન્મના 42માં કલાકે કોરોના રીપોર્ટ પણ પોઝિટિવ આવતા પરિવારજનો પર આભ તૂટી પડયું હતું. તબીબોની જહેમત અને મહેનતના કારણે બાળકીને જન્મના 23માં દિવસે માતાએ ખોળામાં લઇ પ્રથમ વખત સ્તનપાન કરાવ્યું હતું.

મહેમદાબાદના જાવેદભાઇ કુરેશીના ઘરે બાળકીનો જન્મ થયો. 30 મી એપ્રિલના રોજ જન્મેલી બાળકીના આગમનથી સમગ્ર પરિવારમાં ખુશીનો માહોલ હતો. ત્યાં 2.5 કિ.ગ્રા વજન ધરાવતી શ્રમિક પરીવારની બાળકી સ્તનપાન કરી શકતી હતી. જેના કારણે બાળકીનું પેટ ફૂલવા લાગ્યું હતું. ત્યારબાદ તેને ઉલટી થવાનું શરૂ થયુ. જે કારણોસર અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બાળકીને દાખલ કરવી પડી. અહીં આવ્યા ત્યારે વિવિધ રીપોર્ટ અને સોનોગ્રાફી કરાવ્યા બાદ બાળકીને આંતરડામાં રૂકાવટ હોવાનું નિદાન થયુ. જે કારણોસર બાળકી ધાવણ લઇ શકવા સક્ષમ હતી. જેની સારવાર માટે સર્જરી કરવી આવશ્યક બની રહી હતી. સર્જરી પૂર્વે બાળકીનો કોરોનાનો રીપોર્ટ કરાવવામાં આવ્યો હતો. તે પોઝિટિવ આવ્યો હોવાથી બાળકીની સર્જરીમાં વિધ્ન આવી ગયું હતું. હવે કોરોનાગ્રસ્ત નવજાત શીશુની સર્જરી કરવી આવશ્યક બની રહી હતી.

સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગના તબીબોએ પડકાર ઝીલીને જોખમ લઇ સર્જરી કરવાનું નક્કી કર્યું. સર્જરી દરમિયાન જાણવા મળ્યું કે બાળકીના નાના આંતરડા પૂર્ણ રૂપે વિકાસ થયો નથી. જે કારણોસર બાળકીને ધાવણમાં તકલીફ પડી રહી હતી. જે માટે આંતરડાના ખરાબ ભાગને સર્જરી દરમિયાન કાઢી નાંખવામાં આવ્યું હતું. બાકી બચેલા સારા ભાગને આંતરડાના અન્ય ભાગ સાથે જોડવામાં આવ્યું.

સમગ્ર સર્જરી 2 થી 3 કલાકની જહેમત બાદ સફળતાપૂર્વક પાર પાડવામાં આવી.સામાન્ય સંજોગોમાં પણ બાળકોની સર્જરીની જટીલતા અને સંવેદનશીલતા વધુ રહેતી હોય છે ત્યારે પી.પી.. કીટ પહેરીને 3 કલાક બાળકીની સર્જરી હાથ ધરવી તે પડકારજનક બની રહી હતી

સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગના એશોશિએટ પ્રોફેસર ડૉ. જયશ્રી રામજી અને એનેસ્થેટીક વિભાગના એસોશીએટ પ્રોફેસર ડૉ. મૃણાલીની શાહની ટીમના સહયોગથી અત્યંત જટીલ કહી શકાય તેવી સર્જરી સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.

સર્જરી બાદ પોસ્ટ ઓપરેટીવ કેર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલની 1200ની બેડ હોસ્પિટલમાં બાળકીને નવજાત શિશું કેર માટે દાખલ કરવામાં આવી. દરમિયાન બાળકીને સેપ્સીસ( બ્લડમાં ઇન્ફેકશન ફેલાવું)ના કારણે વજન પણ ઘટવા લાગ્યુ. તમામ પરિસ્થિતને નિયંત્રણમાં લેવા અને દિકરીને મોતના મુખમાંથી ઉગારવા બાળ રોગ તબીબ ડૉ. ચારૂલ મહેતા અને તેમની ટીમ દ્વારા ભારે ઇન્જેકશન અને સપોર્ટીવ સારવાર આપવામાં આવી હતી. આખરે 35 દિવસની સતત અને સધન સારવારના અંતે તે સાજી થઇને ઘરે પરત ફરી હતી.

અત્રે નોંધનીય બાબત છે કે, બાળકને જન્મના 17 માં દિવસે પાઇપ વાટે ધાવણ આપવામાં આવ્યુ હતું. અને જન્મના 23 માં દિવસે માતાનું પ્રથમ વખત ધાવણ નસીબે થયુ હતું. જન્મના 23માં દિવસે ધાવણ આપતી વખતે માતા અને બાળકી વચ્ચે અશ્રુ સહિતની લાગણીઓનો સંવાદ સધાયો હતો. બાળકીની માતાએ લગીરેય વિચાર્યુ હતુ કે હું મારા બાળકીને સ્તનપાન કરાવી શકીશ.

સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોષી કહે છે કે, ઇલીયલ અટ્રેસીયા નામની બિમારી 10 હજાર નવજાત બાળકોમાંથી 2 બાળકોમાં જોવા મળે છે. જેની સર્જરી અતિ જટીલ બની રહે છે.સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગમાં અત્યંત જૂજ જોવા મળતી ઘણી સર્જરી હાથ ધરવામાં આવી છે.

 

(11:35 pm IST)