ગુજરાત
News of Wednesday, 21st July 2021

કોરોના મહામારીનો માર : સુરતમાં વધુ બે યુવકોનો આપઘાત

સુરત, તા. ર૧ :  સુરતમાં કોરોના મહામારી વચ્ચે આર્થિક સંકડામણને પગલે બેકારીનો ભોગ બનેલા વધુ બે યુવકોએ આપઘાત કરી લીધો છે. અમરોલીના રત્નકલાકારે કતારગામ વિસ્તારમાં એસિડ પીને તો બીજા બનાવમાં બેકારીને લઈને યુવાને ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. સુરતમાં કોરોના મહામારી અને તેના પગલે લગાવવામાં આવેલા લૉકડાઉન બાદ આપઘાતના અનેક બનાવ સામે આવ્યા છે. આપઘાતની બે વધુ ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે.

અમરોલીમાં શ્રીજી પાર્કની સામે કાર્તિકનગર સોસાયટીમાં રહેતા ૩૨ વર્ષીય ઝવેરભાઈ મેઘજીભાઈ પાંડવે સોમવારે બપોરે કતારગામમાં મગનનગર સોસાયટી પાસે આશુતોષ સ્કૂલની બાજુમાં જાહેર રસ્તા પર એસિડ ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જે બાદમાં તેમને સારવાર માટે ૧૦૮ એબ્યુલન્સ મારફતે તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.જ્યાં તેનું ત્રણ કલાકની સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

જ્યારે બીજા બનાવમાં અમરોલીમાં હળપતિવાસ નજીક ઇન્દિરાનગરમાં રહેતા ૪૦ વર્ષીય ભીખાભાઈ ચીમનભાઈ રાઠોડે ગતરોજ  રાત્રે પોતાના ઘરે લોખંડની એંગલ સાથે ઓઢણી બાંધી ફાંસો ખાધો હતો. ભીખાભાઇ છૂટક મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમને સંતાનમાં બે પુત્રી છે, જે પૈકી મોટી પુત્રી પ્રિયંકા મહોલ્લાની બહાર મિત્રો સાથે રમવા જતી હતી. પિતા ભીખાભાઈએ તેને સાંજના સમયે બહાર ૨મવા ન જવાનો ઠપકો આપ્યો હતો.

(3:37 pm IST)