સુરતમાં કોરોનાકાળ દરમ્યાન રેમડેસીવીર ઇંજેક્શનમાં કાળા કરતા ત્રણ આરોપીના જામીન અદાલતે નામંજૂર કર્યા
સુરત: શહેર ક્રાઈમ બ્રાંચે ગઈ તા.1-5-21ના રોજ અડાજણ સ્થિત પરશુરામ ગાર્ડન પાસેથી આઠ નંગ ડુપ્લીકેટ ઈંજેકશન સાથે મૂળ સુરેન્દ્ર નગર ધ્રાંગધ્રાના વતની આરોપી જયદેવસિંહ વેલુભા ઝાલા, કૌશલ મહેન્દ્ર વોરા(રે.શ્યામ સૃષ્ટિ એપાર્ટમેન્ટ, અડાજણ) પુનિત ગુણવંતલાલ શાહ (રે.પુનમ કલસ્ટર, મીરા રોડ થાણે મુંબઈ)ની ધરપકડ કરી હતી. ત્રણેયે એપ્રિલ-2021 દરમિયાન કોરાના કાળમાં રેમડેસીવીર ઈંજેકશનની અછતમાં કાળાબજાર કરી કમાણી કરવા ઓલપાડના પિંજરત ગામમાં રોયલ ફાર્મ ભાડે રાખ્યું હતુ. જ્યાં ડુપ્લીકેટ ઇન્જેકશન બનાવી ગરજાઉ લોકોને વેચ્યા હતા.
હાલમાં જેલવાસ ભોગવતા ઉપરોક્ત ત્રણેય આરોપીઓએ જામીન માંગ્યા હતા. જેના વિરોધમાં એપીપી કિશોર રેવાલીયાએ તપાસ અધિકારીની એફીડેવિટ રજુ કરી જણાવ્યું હતું કે આરોપીઓ વિરુધ્ધ ગંભીર ગુનાનો પ્રથમ દર્શનીય કેસ છે. જામીન આપવાથી સાક્ષી પુરાવા સાથે ચેડા થવાની તથા ફરી આ પ્રકારના ગુનામાં સંડોવાય કે ટ્રાયલમાં હાજર ન રહે તેવી સંભાવના છે. આરોપીઓએ માત્ર આર્થિક ઉપાર્જનના બદઈરાદે ડુપ્લીકેટ રેમડેસીવીર ઈંજેકશન કાળા બજારમાં વેચીને જાહેર જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવાનો ગંભીર ગુનો આચર્યો છે.