વાડજમાં યુવકને ઢોર માર મારીને હત્યા કરી ફરાર થયેલ આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યો
આરોપી અગાઉ પણ અનેક ગુનાઓને અંજમ આપીને સજા કાપી ચુકેલો હોવાનું પુછપરછમાં ખુલ્યું
અમદાવાદ : વાડજમાં સાતેક માસ અગાઉ એક યુવકને ઢોર માર મારી હત્યા કરીને ફરાર થયેલા આરોપીને જુના વાડજ પાસેથી ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી પાડ્યો છે. આરોપી અગાઉ પણ અનેક ગુનાઓને અંજમ આપીને સજા કાપી ચુકેલો હોવાનું પુછપરછમાં સામે આવ્યું હતુ.
સાતેક માસ અગાઉ વાડજના રામાપીરના ટેકરા કૃષ્ણનગરની ચાલીમાં રહેતા ભરત કાઠીયાવાડીની દિકરી પ્રિયાંષી દુધ લેવા માટે જતી હતી ત્યારે નીરવ રમેશભાઈ સોલંકીએ તેને જોઈ બુમો પાડી હતી. આ સમયે હંસીયો બાડીયો તથા ભરતભાઈ કાઠીયાવાડી અને તેની પત્ની સહિત બે અજાણ્યા શખ્સોએ ભેગા મળીને નિરવને ઢોર માર માર્યો હતો. જેના કારણે સારવાર દરમિયાન નિરવનું મોત નિપજ્યું હતુ.
વાડજ પોલીસે હસમુખ ઉર્ફે હંસીયો બાડીયો, ગાયત્રી તથા બે અજાણ્યા શખ્સોના વિરુદ્ધમાં હત્યાનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી. આ કેસમાં ફરાર આરોપી ભરત ઉર્ફે કાઠીયાવાડી મેવાડા પણ સામેલ હતો અને નાસ્તો ફરતો હોવાનું સામે આવ્યું હતુ.
ક્રાઈમ બ્રાંચના પીઆઇ ચિરાગ ટંડેલને માહિતી મળી હતી કે, ભરત જુના વાડજ સર્કલ પાસેથી પસાર થવાનો છે જેના આધારે ક્રાઈમ બ્રાંચની ટીમે વોચ ગોઢવીને આરોપી ભરત ઉર્ફે કાઠીયાવાડીને ઝડપી પાડ્યો હતો. આરોપી ભરત અગાઉ નારણપુરામાં મર્ડર, 2013માં દેશી દારૂ, 2016માં સાંણદમાં મર્ડર, 2017માં વાડજમાં દુષ્કર્મ, 2018માં મારામારી, 2019માં દુષ્કર્મમાં પકડાયેલો છે તથા 3 વખત પાસાની પણ કાપી હોવાનું બહાર આવ્યું છે.